- કુવૈતમાં છ માળની ઈમારતમાં અચાનક આગ ભભૂકી ઉઠી
- ઈમારતમાં આગને લીધે ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોવા મળ્યા
- લોકોને ઈમારતમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી
કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે, બુધવારે વહેલી સવારે આ છ માળની ઈમારતમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ગભરાટનો માહોલ છવાયો હતો. જો કે, મળતી માહિતી અનુસાર, આ દુઃખદ ઘટનામાં ઓછામાં ઓછા ચાર ભારતીયોનાં પણ મોત થયા છે. સમગ્ર ઘટનામાં 35 લોકો જીવતા ભૂંજાયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
આ છ માળની બિલ્ડિંગમાં ભારતના દક્ષિણ ભાગમાં આવેલા મલયાલમ લોકોની મોટી વસ્તી રહે છે. મૃતકોમાં બે તમિલનાડુ અને બે ઉત્તર ભારતના હતા. જો કે, સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
ભયનો માહોલ સર્જાયો
અહેવાલો અનુસાર બુધવારે સવારે 4.30 વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને એપાર્ટમેન્ટમાંથી બહાર કૂદીને મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો બળી અને ધૂમાડાને કારણે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર ઈમારત બળીને ખાખ થઈ ગઈ હતી.
ભારતીય દૂતાવાસે આપી જાણકારી
કુવૈતની ઈમારમાં આગ અંગે ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, સમગ્ર ઘટના અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.


