પાટીદાર અનામત આંદોલનના અગ્રણી નેતા લાલજી પટેલે તાજેતરમાં ચર્ચામાં રહેલી વરુણ પટેલની પોસ્ટને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. વરુણ પટેલે કરેલી ટિપ્પણીઓ બાદ લાલજી પટેલે નિવેદન આપતા રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન
લાલજી પટેલે જણાવ્યું કે, “વરુણ પટેલ નહીં, પણ કોઈ પણ સમાજનો આગેવાન ઈચ્છતો હોય કે તે રાજનીતિ અને સહકારી સંસ્થામાં આવે.” તેમણે સહકારી ક્ષેત્રમાં પાટીદાર પ્રતિનિધિત્વની ઓછી સંખ્યા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “ડેરીમાં પણ 22 ટકા મતદાર પાટીદાર છે, તો પણ માત્ર 2 ઉમેદવાર જ પાટીદારના લેવામાં આવે તે દુઃખની વાત છે. આ વાત સાચી છે, હું વરુણ પટેલની વાતને સમર્થન આપું છું.”
EWS રાજકારણમાં કેમ નહીં?
સમાજના સળગતા પ્રશ્નો માટે પાટીદાર અનામત આંદોલન કરવામાં આવ્યું હતું તેની યાદ અપાવતાં લાલજી પટેલે EWS (આર્થિક રીતે નબળા વર્ગ) અનામતના અમલ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “EWS આપ્યું છે તો માત્ર શિક્ષણ અને નોકરીમાં જ કેમ? રાજકારણમાં કેમ નહીં?તેમણે માંગ કરી કે, “સરપંચ કે તાલુકા ડેલીગેટની ચૂંટણી હોય, તો એમાં પણ EWS હોવું જ જોઈએ.” જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, “અન્ય સમાજને લાભ મળે એમાં અમને કોઈ વાંધો નથી. લાલજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અત્યારનું જે ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે, તેમાં વરુણ પટેલની વાત સાથે સહમત છું કે દૂર દૂર સુધી દૂરબીન લઈને જોશો તો પાટીદાર દેખાશે નહીં.” આ નિવેદન વર્તમાન રાજકીય અને સહકારી માળખામાં પાટીદાર સમાજની ઉપેક્ષા અને ઓછા પ્રતિનિધિત્વ તરફ ઈશારો કરે છે.


