ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા છે અને 9 લોકો ગુમ છે. અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓએ રાહત અને બચાવ કામગીરી દરમિયાન 16 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા જેઓ જાવાના મુખ્ય ટાપુના પર્વતીય ક્ષેત્રમાં સ્થિત ગામોમાં અચાનક પૂરથી વહી ગયા હતા. આ મૃતદેહો કાટમાળ અને ખડકો નીચે દટાયેલા હતા. તેમણે કહ્યું કે પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં 9 લોકો ગુમ થયાના અહેવાલ છે.
મુશળધાર વરસાદને કારણે નદીઓમાં પૂર
સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા, બર્ગસ કટુરસારીએ જણાવ્યું હતું કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મધ્ય જાવા પ્રાંતમાં પેકાલોંગન રીજન્સીમાં નવ ગામોમાં નદીના પૂર આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પહાડી વિસ્તારમાં પહાડોના ઢોળાવ પરથી માટી અને ખડકો નીચે પડ્યા હતા, અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તેમણે કહ્યું કે બચાવકર્મીઓએ મંગળવાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત પેટુંગક્રિનો ગામમાંથી ઓછામાં ઓછા 16 મૃતદેહો બહાર કાઢ્યા છે. ગુમ થયેલા ગ્રામજનોની શોધખોળ ચાલુ છે.
ઓક્ટોબરથી માર્ચ સુધી વરસાદ પડે છે
કટુરસારીએ જણાવ્યું હતું કે 10 ઘાયલો કોઈક રીતે આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી બચવામાં સફળ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ઑક્ટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદ ઇન્ડોનેશિયામાં વારંવાર પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે. ઇન્ડોનેશિયા એ 17,000 ટાપુઓનો એક દ્વીપસમૂહ છે જ્યાં લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે.


