- અમેરિકામાં સ્થાપિત કરવામાં આવી ડો.આંબેડકરની ભવ્ય પ્રતિમા
- ‘આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર’ માં સ્મારકનાં ભાગરૂપે સ્થાપિત
- ઉદ્ધાટન સમયે મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા
ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની ભારત બહાર આવેલી સૌથી મોટી પ્રતિમા અમેરિકામાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાને સમાનતાની પ્રતિમા નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમાનું 14 ઓક્ટોબરે અનાવરણ કરવામાં આવશે. સરદાર પટેલની પ્રતિમા બનાવનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી છે
રામ સુતાર દ્વારા કરવામાં આવ્યું નિર્માણ
ભારતીય બંધારણના મુખ્ય આર્કિટેક્ટ ડૉ બીઆર આંબેડકરની ભારત બહારની ‘સૌથી મોટી’ પ્રતિમાનું 14 ઓક્ટોબરે મેરીલેન્ડમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઓગણીસ ફૂટની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ નામ આપવામાં આવ્યું છે, જેને પ્રખ્યાત કલાકાર અને શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમા પણ રામ સુતારે જ બનાવી હતી.
આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનો ભાગ
આંબેડકરની પ્રતિમા મેરીલેન્ડના એકોકીક શહેરમાં 13 એકર જમીન પર બાંધવામાં આવી રહેલા ‘આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર’ (AIC)નો એક ભાગ છે. AICએ કહ્યું, ‘ભારતની બહાર બાબાસાહેબની આ સૌથી મોટી પ્રતિમા છે અને આ સેન્ટરમાં આંબેડકર સ્મારકના ભાગરૂપે તેને સ્થાપિત કરવામાં આવી રહી છે. અહીં સ્થાપિત પ્રતિમા વિશ્વની સૌથી મોટી 125 ફૂટની આંબેડકર પ્રતિમા જેવી જ છે જેનું તાજેતરમાં હૈદરાબાદ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ દેશોનાં પ્રતિનિધિઓ આપશે હાજરી
અમેરિકા તેમજ વિશ્વના અન્ય ભાગોમાંથી આંબેડકરવાદી ચળવળના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. એઆઈસીએ જણાવ્યું હતું કે આ સ્મારક બાબાસાહેબના સંદેશાઓ અને ઉપદેશોનો પ્રચાર અને સમાનતાને પ્રોત્સાહન આપશે.પ્રતિમાનું અનાવરણ પ્રસંગે વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.