વીજલાઈનથી કરંટ લાગતા સગીરના મોતના કેસમાં વળતરનો એપેલેટ કોર્ટનો હુકમ બહાલ
તાજેતરમાં ખુલ્લા લટકતા વીજ વાયરથી દુર્ઘટનામાં નિપજેલા એક મૃત્યુના કેસમાં હાઇકોર્ટે વીજ કંપનીને દોષિત ગણી છે. હાઇકોર્ટે ખુલ્લા-લટકતા વીજ વાયરોથી કોઈ દુર્ઘટના સર્જાય તો તે દુર્ઘટના માટે વીજ કંપનીની જવાબદારી રહેશે તેમ જણાવ્યું છે. આ ચુકાદાને રેફરન્સ તરીકે લઈને ભવિષ્યમાં આવા કિસ્સાઓને ધ્યાને લઈ વીજ કંપની પાસેથી વળતર માંગી શકાશે.
ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદામાં ઠરાવ્યું છે કે, કોઈપણ આકસ્મિક બનાવ કે દુર્ઘટનાને રોકવા વીજલાઈનના તમામ વાયરો ઇન્સ્યુલેટેડ(આવરણથી સુરક્ષિત) રાખવા અને જાળવવા એ વીજકંપની(પશ્ચિમ વીજ કંપનીલિ)ની જવાબદારી છે અને જો વાયરો ખુલ્લા અને લટકતા હોય તેવા સંજોગોમાં કોઈ દુર્ઘટના કે આકસ્મિક બનાવ બને તો વીજકંપનીની મુખ્ય અને સ્પષ્ટ જવાબદારી બને. જૂનાગઢ જિલ્લામાં ખેતરમાં કામ કરવા દરમ્યાન પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વીજ લાઈનના ખુલ્લા અને લટકતા વાયરોને ભૂલથી અડી જતાં સગીરનું મોત નીપજવાના કેસમાં તેના વાલીને વળતર અપાવતા એપેલેટ કોર્ટ, જૂનાગઢના હુકમને પડકારતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સેકન્ડ અપીલ જસ્ટિસ જે.સી.દોશીએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને એપેલેટ કોર્ટના હુકમને યોગ્ય અને વાજબી ઠરાવતાં આ ચુકાદો જાહેર કર્યો હતો.
હાઈકોર્ટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સેકન્ડ અપીલ એડમીશન સ્ટેજ પર ફગાવી દીધી હતી અને ઠરાવ્યું હતું કે, એપેલેટ કોર્ટે તમામ કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય રીતે અર્થઘટન કરીને જ ચુકાદો આપ્યો છે.જસ્ટિસ જે.સી.દોશીએ આ વિષય સંદર્ભે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકીને સગીરના વાલીને ૯ ટકા વ્યાજ સાથે રૂ.૧.૯૦ લાખનું વળતર અપાવતો એપેલેટ કોર્ટનો હુકમ બહાલ રાખ્યો હતો અને વીજ કંપનીની અપીલ કાઢી નાંખી હતી.
આ હુકમથી નારાજ થઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. તરફથી હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ કરી એવા કાયદાકીય મુદ્દા ઉઠાવાયા હતા કે, ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી રૂલ્સ-૧૯૫૬ના રૂલ-૭૭ મુજબ, ઇલેક્ટ્રિસિટી લાઈન ૬.૧ મેટર ઉંચાઈથી ઉપર પસાર થતી હોવી જોઈએ. વળી, રૂલ-૭૭ મુખ્યત્વે શહેરોમાં શેરીઓના કિસ્સામાં લાગુ પડતી હોય છે, ખેતીલાયક ખેતરમાં નહીં. પ્રસ્તુત કેસમાં સગીરે સાવધાની નહી રાખી હોવાની બનાવ બન્યો છે અને તે ૧૧ કેવીની વીજ લાઈનના સંપર્કમાં આવતાં વીજ કરંટનો ભોગ બન્યો છે. તેમાં અરજદાર વીજ કંપનીનો કોઈ વાંક કે જવાબદારી બનતા નથી. જો કે, જસ્ટિસ જે.સી.દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની અપિલ ફગાવી દઈ સમગ્ર કેસમાં વીજ કંપનીની જ જવાબદારી ઠરાવી ઉપરમુજબ ચુકાદો જાહેર કર્યો હતો.


