- બિલ ગેટ્સે જીવનના પ્રેરણાદાયી અનુભવો શેર કર્યા
- તેઓ તેમની યુવાની દરમિયાન સપ્તાહાંત કે રજાઓમાં માનતા ન હતા
- મોટા થયા તેમ સમજાયું કે, જીવનમાં કામ કરતાં પણ ઘણી મહત્વની બાબતો છે
માઈક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સની વાર્તા વિશ્વના કરોડો લોકો માટે પ્રેરણાદાયી છે. હવે બિલ ગેટ્સે તેમના જીવનના અનુભવો શેર કર્યા છે. હાલમાં એક બ્લોગ પોસ્ટમાં તેમણે તેમના વિચારોમાં આવતા ફેરફારોની ચર્ચા કરી હતી. ગેટ્સે કહ્યું હતું કે તેઓ તેમની યુવાની દરમિયાન સપ્તાહાંત કે રજાઓમાં માનતા ન હતા. પરંતુ જેમ જેમ તે મોટો થતા ગયા તેમ તેમ સમજાયું કે, જીવનમાં કામ કરતાં પણ ઘણી મહત્વની બાબતો છે.
માઈક્રોસોફ્ટની સ્થાપનાં 48 વર્ષ પહેલા થઈ હતી
બિલ ગેટ્સે તેમના બાળપણના મિત્ર પોલ એલન સાથે મળીને 48 વર્ષ પહેલા 1975માં માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. બંને મિત્રોએ મળીને તેને વિશ્વની સૌથી મોટી ટેક કંપની બનાવી. આજે તે $211.9 બિલિયનની આવક ધરાવતી કંપની છે. તેની કમાન ભારતીય મૂળના સત્ય નડેલાના હાથમાં છે.
જીવન માત્ર કામ કરવા માટે નથી
બિલ ગેટ્સે બ્લોગમાં લખ્યું છે કે જ્યારે હું મારા બાળકોની ઉંમરનો હતો ત્યારે મેં સપ્તાહાંત અને રજાઓ પર ધ્યાન આપ્યું ન હતું. મારી યુવાનીમાં હું આ બાબતોમાં માનતો ન હતો. મને આનું કોઈ મહત્વ સમજાયું નહીં. પરંતુ જ્યારે હું પિતા બન્યો અને ધીમે-ધીમે મોટો થવા લાગ્યો ત્યારે મને સમજાયું કે જીવનમાં કામ કરતાં ઘણું બધું છે. જીવન માત્ર કામ કરવા માટે નથી.
વાસ્તવિક જીવનના અનુભવો ખૂબ ઉપયોગી
તેમણે આગળ લખ્યું હતું કે વાસ્તવિક જીવનના અનુભવો જીવનમાં તમારા કામ જેટલા જ મહત્વપૂર્ણ છે. આ અનુભવો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મારા બાળકોને મોટા થતા જોઈને મને જે ડહાપણ મળ્યું છે તે તમે બીજે ક્યાંય મેળવી શકતા નથી. તેની સરખામણી અન્ય કોઈ વસ્તુ સાથે થઈ શકે નહીં.
ભારતમાં કામના કલાકો અંગે ચર્ચા ચાલી રહી છે
બિલ ગેટ્સનો આ બ્લોગ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં કામના કલાકો અંગે ચર્ચા ચાલી રહી છે. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ તાજેતરમાં કહ્યું હતું કે જો દેશનો વિકાસ કરવો હોય તો યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે હું લગભગ 90 કલાક કામ કરતો હતો. આ પછી સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા છેડાઈ ગઈ હતી. લોકોએ ટીકા કરી હતી કે ઘણી કચેરીઓમાં કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આ ઉપરાંત આપવામાં આવતો પગાર પણ ઘણો ઓછો છે.
વર્ક લાઈફ બેલેન્સના મહત્વ પર ભાર
થોડા દિવસો પહેલા બિલ ગેટ્સનો પણ આવો જ વિચાર હતો. પરંતુ હવે તેમણે વર્ક લાઈફ બેલેન્સના મહત્વ પર ભાર મૂક્યો છે. પ્રખ્યાત અબજોપતિએ બ્લોગ પોસ્ટમાં આગળ લખ્યું કે હું આશા રાખું છું કે આ તહેવારોની સીઝનમાં તમે તમારા આનંદ અને આરામ માટે થોડો સમય કાઢશો જેથી તમે નવી ઉર્જા સાથે 2024 માં પ્રવેશ કરી શકો.


