અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
ઢોલરવા ગામમાં સમાધિનો ફિયાસ્કો : અરજણ રૂડાભાઈ ખુમાણ પરિવારે સમાધિનું તત કબુલતા માફી માગી લીધી
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અરજણ રૂડાભાઈ ખુમાણે કરેલી સમાધિની જાહેરાતથી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ રૂબરૂ જવાથી સમગ્ર ઘટના બેબુનિયાદ બોગસ-ડિંડક સાબિત થઈ હતી. પરિવારે તૂતની કબુલાત આપતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સમાધિની સમય મર્યાદામાં ઈચ્છા મૃત્યુ થયું ન હતું તેથી પરિવાર-સમાજ સાથે ગામને નિચાજોણું થયું હતું. જાથાને કબુલાતનામું આપતા મામલો થાળે પડયો હતો.
બનાવની વિગત પ્રમાણે અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં રહેતા ભક્ત અરજણભાઈ ખુમાણે બે મહિના પહેલા ૨ જી એપ્રિલે ઈચ્છા મૃત્યુથી સમાધિ લેવાની જાહેરાતથી પોતાના સમાજમાં કૌતુક ઉભું કર્યું હતું. ધર્મ પારાયણ જીવન જીવતા હોય શ્રધ્ધાળુઓએ સાચું માની ઘરે ઘરે પધરામણી, કંકુ પગલા કરાવી સન્માનની સાથે ખુશી ભેટ આપતા હતા. સમાધિની તારીખ નજીક આવતા સમાજના જાગૃતોએ ખુમાણ પરિવારની હકિકત જાથા સમક્ષ મુકી હતી. ભાવિ પેઢી માટે નુકશાનકારક, અંધશ્રદ્ધા તરફ દોરી જનારૂં કૃત્ય હોય જાથાને હાજરી આપવા માહિતી આપી હતી. ધતિંગ-ડિંડકથી વિશેષ કશું જ નથી. સમાધિ બાદ ડેરી-સ્થાનક બનાવી કમાવવાનું તર્કટ હોય તો લોકહિતમાં ઉજાગર કરવાની વાત મુકી હતી. જાથાએ તુરંત ગામમાં કાર્યકરને મોકલતા ફૂલહાર, આશિર્વાદ, સંત મહિમાના ગુણગાન નજરે પડતા હતા. સમાધિનો ખાડો આગલી રાતે કરવાનું નક્કી થયું હતું. જાથાને સમાજના લોકોના નિવેદન આપવાથી સમાધિનું ગતકડું સિવાય કશું જ નથી, નારાજગી વ્યક્ત કરી હતી. સમાધિ લેનાર શખ્સ તંદુરસ્ત હોય કશું જ બનવાનું નથી તેવું સામે આવ્યું હતું. તેથી પર્દાફાશનું નક્કી કર્યું હતું.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સમાધિનું ડિંડક ખુલ્લું કરવામાં રાજયના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, આઈ.જી.પી. રેન્જ ભાવનગર, એસ.પી. અમરેલી સહિતના અધિકારોઓની મદદ માગી હતી. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. સરકારી તંત્રે જાથાના પત્રથી તુરંત હરકતમાં આવી અરજણભાઈ રૂડાભાઈ પરિવારને તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો, તેમાં સમાધિ લેવાના નથી તેવી લેખિત બાંહેધરી આપી દીધી. મોડી રાતે પોલીસે તેમને મુકત કર્યા હતા.
અરજણભાઈ ખુમાણ પરિવારે પરિસ્થિતિ જોઈ સમાધિ મુલત્વી-બંધ રાખવાની જાહેરાત કરી દીધી. ખાડો ખોદવાનું બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.


