- આગામી 7મી મેના રોજ ગુજરાતમાં યોજાશે લોકસભા ચૂંટણી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત પ્રચારકો આવશે ગુજરાત
- ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે કેન્દ્રીય મંત્રીઓની આખી ફોજ ઉતારી
દેશમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આગામી 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારબાદ, ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો માટે પણ મતદાન યોજાશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર કરવા માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. તો સાથે સાથે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગુજરાત આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારનું કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. તો સાથે સાથે, ભાજપ દ્વારા કેન્દ્રીય નેતાઓની આખી ફોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ઉતારવામાં આવી છે.
જાણવા મળી રહ્યું છે કે 1 મે એટલે કે ગુજરાત સ્થાપન દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. સૂત્રો પાસેથી મળતી આધારભૂત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મેના રોજ દાહોદમાં જાહેર સભાને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠકો માટે પીએમ મોદી અહી સભા કરશે.
તો બીજી બાજુ, આગામી 27 અને 28 એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતના અલગ અલગ ઝોનમાં અમિત શાહ ચૂંટણી સભાઓને સંબોધન કરશે.


