- વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
- ઘણાં વિસ્તારોમાં રૂપાલાના વાણી વિલાસના વિરુદ્ધમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ
- ઘર ઘર સુધી પહોંચી ભાજપ કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે
લોકસભા ચૂંટણી માટે થનાર મતદાન પહેલા મતદારોને રીઝવવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતા વાંસદા વિસ્તારમાં ભાજપે પ્રચાર કાર્ય તેજ કર્યું છે. વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારોના મત મેળવવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
વાંસદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપ કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાંસદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવવા પહોંચ્યા હતા. આ પ્રસંગે ચાર લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદઘાટન બાદ ધવલ પટેલે 1947 બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાંસદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાંસદામાં સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ઘણાં વિસ્તારોમાં રૂપાલાના વાણી વિલાસના વિરુદ્ધમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ
વાંસદાના ઘણાં વિસ્તારોમાં પરશોત્તમ રૂપાલાના વાણી વિલાસના વિરુદ્ધમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં બેનર તથા સ્ટીકર લગાવ્યા છે. જેમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ભાજપના કાર્યકર્તાઓ અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં એવા બેનર લટકતા નજરે પડી રહ્યાં છે. હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જોર પકડી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં ઉમેદવારો પોતાના પોતાની ઉમેદવારી માટે શકિત પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે.


