- ભગવાન જગન્નાથની આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી
- ભાવિક ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા
- રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અંબાજી ખાતે આજે અષાઢી બીજના દિવસે શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે અંબાજી ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિર આગળથી ભગવાન જગન્નાથની શોભાયાત્રા માટે રથનો શણગાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા 12:30 કલાકે રાધાકૃષ્ણ મંદિરથી નીકળી આખા અંબાજી નગરમાં ફરી માનસરોવર નજીક આવેલા રાધાકૃષ્ણ મંદિરે પૂર્ણ થઈ હતી.
જય રણછોડ માખણચોરના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા
ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ ભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો. અંબાજી ખાતે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની બલરામ અને સુભદ્રાજી સાથે આ 30મી રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં અંબાજી ગામના ભાવિક ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય રણછોડ માખણચોરના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.
પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
રથયાત્રામાં મગ,જાંબુ અને કાકડીનો પ્રસાદ પણ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના સમગ્ર રોડ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ સમગ્ર રથયાત્રા દરમિયાન હાજર રહ્યા હતા.


