વૈશાખ મહિનામાં સુદ પક્ષની ચૌદસે નૃસિંહ જયંતી આવે છે. આ દિવસે ભગવાન શ્રી નૃસિંહે થાંભલાને ચીરીને ભક્ત પ્રહ્લાદનું રક્ષણ કરવા માટે અવતાર લીધો હતો. આથી આ દિવસ તેમના જયંતી-ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. નૃસિંહ જયંતીના અવસરે આપણે તેમના અવતરણની કથા જાણીએ.
પ્રાચીનકાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દિતિ હતું. તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ પાડ્યું હતું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ વારાહ રૂપ ધરીને માર્યો હતો જ્યારે તે પૃથ્વીને પાતાળલોકમાં લઈ ગયો હતો.
બસ થવાનું શું હતું? આ જ કારણે હિરણ્યકશિપુ વિષ્ણુ પર કોપિત થયો. તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ (બદલો) લેવા માટે ઘોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેણે વરદાન (વરદાનમાં તેણે માંગ્યું કે હું અસ્ત્રથી ન મરું કે શસ્ત્રથી ન મરું, હું દિવસે ન મરું કે રાત્રે પણ ન મરું, મનુષ્યથી ન મરું કે જાનવરથી ન મરું, વર્ષના બારે મહિનામાં હું ન મરું) માંગ્યું. બ્રહ્માજીએ તેને `અજેય’ થવાનું વરદાન આપ્યું. આ વરદાન મળતાં જ તેની મતિ મલિન થઈ ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો.
આ જ દિવસોમાં તેની પત્ની કયાધુએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ પ્રહ્લાદ પાડવામાં આવ્યું. ધીરે ધીરે પ્રહ્લાદ મોટો થવા લાગ્યો. અચરજની વાત તો એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો.
હિરણ્યકશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે ઘણા અત્યાચાર ગુજારતો હતો, પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહ્લાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશિપુએ ઘણા પ્રયત્નો કર્યા, ઘણી યુક્તિઓ કરી, નીતિ-અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહ્લાદ પોતાના માર્ગથી ડગ્યો નહીં. છેલ્લે તેણે પ્રહ્લાદની હત્યા કરવા માટે ઘણાં ષડ્યંત્રો રચ્યાં. તેણે માણસો પાસે પ્રહ્લાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો. આવા તો ઘણા પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા જ મળી. ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો.
એકવાર હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં. આથી પ્રહ્લાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી અને એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહ્લાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાંની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહ્લાદને પોતાના ખોળામાં બેસાડ્યો. આ ચિતાને આગ લગાડવામાં આવી. આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહ્લાદનો વાળ પણ વાંકો ન થયો.
જ્યારે હિરણ્યકશિપુનો આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી અને પ્રહ્લાદને પૂછ્યું, `દેખાડ, તારો ભગવાન ક્યાં છે?’ પ્રહ્લાદે વિનમ્ર ભાવથી કહ્યું, `પિતાજી! ભગવાન તો સર્વત્ર છે.’, `શું તારો ભગવાન આ સ્તંભ (થાંભલા)માં પણ છે?’, `હા, આ થાંભલામાં પણ છે.’
આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશિપુએ થાંભલા પર તલવાર વડે પ્રહાર કર્યો. તે જ વખતે થાંભલાને ચીરીને શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુને પકડીને પોતાની જાંઘો પર રાખીને તેની છાતી પોતાના નખો વડે ફાડી નાખી. આમ, તેમણે પ્રહ્લાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહ્લાદના કહેવાથી ભગવાન શ્રી નૃસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહ્લાદની સેવા-ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે.
વ્રત કેવી રીતે કરશો?
નૃસિંહ જયંતીના દિવસે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને ઘરની સંપૂર્ણ સાફસફાઈ કરવી. ત્યારબાદ ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને ઘરને પવિત્ર કરો.
નૃસિંહ દેવદેવેશ તવ જન્મદિને સુભે।
ઉપવાસં કરિશ્યામિ સર્વભોગવિવર્જિત:॥
આ મંત્રના ઉચ્ચારણની સાથે બપોરના સમયે ક્રમશ: ગૌમૂત્ર, તલ, મૃતિકા અને આંબળાંને પાણીમાં મેળવીને છાણથી લીંપી તથા તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં અષ્ટદલ કમળ મૂકો અને તેના પર ભગવાન નૃસિંહ તથા લક્ષ્મીજીની સ્થાપના કરો.
વેદમંત્રોનું ઉચ્ચારણ કરી તેમની પ્રાણપ્રતિષ્ઠા કરી, ષોડ્શોપચાર પૂજન કરો. રાત્રિના સમયે ભજનોનું ગાન, પુરાણ શ્રવણ તથા હરિસંકીર્તન કરતાં કરતાં જાગરણ કરો. બીજા દિવસે સવારે પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો.
નૃસિંહ જયંતીના દિવસે વ્રતીએ આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ. પોતાના સામર્થ્ય અનુસાર જમીન, ગાય, તલ, સોનું તથા વસ્ત્રાદિ વગેરેનું દાન કરવું જોઈએ. ક્રોધ, લોભ, મોહ, કુસંગ તથા પાપાચારનો ત્યાગ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.
વ્રતનું ફળ
વ્રત કરનાર વ્યક્તિને તમામ પ્રકારનાં દુ:ખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે.
ભગવાન નૃસિંહ પોતાના ભક્તોની રક્ષા કરે છે.
ઈચ્છા અનુસાર ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.