- કેતન પારેખે લોન મેળવી 1,020 કરોડની ઠગાઈ આચરતા બેંકનું ઊઠમણું થયેલું
- દસ્તાવેજી પુરાવા, ચાર્જશીટના આધારે હાલ ત્રણ આરોપીઓ સામે જ કાર્યવાહી
- સીબીઆઈએ કેતન પારેખ સહિત 11 લોકોની ધરપકડ કરી હતી
ધી માધવપુરા મર્કન્ટાઇલ કો.ઓ. બેંકમાંથી લોન મેળવીને કરોડો રૂપિયની ઠગાઈ આચરવાના મામલે 23 વર્ષ બાદ સટ્ટાકિંગ કેતન પારેખ, દેવેન્દ્ર પંડયા અને જગદીશ પંડયા સામે તા.3 મેના રોજ અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવા માટે રાખ્યો છે. સીબીઆઈના અધિકારી હાજર નહીં રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સીબીઆઈના ખાસ જજ નીલેશ એન.પાથરએ જામીન લાયક વોરન્ટ કાઢતા હાજર થઈ ગયા હતા. વર્ષ 2001માં માધવપુરા મર્ચન્ટાઇલ કો.ઓપરેટિવ બેંકમાંથી ગેરકાયદે રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખની કંપનીઓએ આડેધડ લોનો લઈ લેતા બેંક રૂ.1,020 કરોડમાં ફડચામાં ગઈ હતી, જેના લીધે ગુજરાતની આશરે 70 થી વધુ બેંકોને અસર પડી હતી.
વર્ષ 2001માં માધવપુરા મર્ચન્ટાઇલ કો.ઓપરેટિવ બેંકમાંથી ગેરકાયદે રીતે શેરબજારના સટ્ટાકિંગ કેતન પારેખને કરોડોની લોન આપી હતી, જેમાં લાખો રોકાણકારોના આશરે 1,020 કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. આ તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. સીબીઆઈએ કેતન પારેખ સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. દરમ્યાનમાં શેરબજારના સટ્ટાકીંગ કેતન પારેખ દીકરીના બીમારીના કારણો દર્શાવી વિદેશમાં સારવાર માટે જતા હતા. આ બાબત કોર્ટના ધ્યાને આવતા સીબીઆઈ અને આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. કેતન પારેખ છેલ્લી ત્રણ મુદતથી કોર્ટમાં વકીલ સાથે હાજર રહ્યા હતા. જ્યારે એમડી દેવેન્દ્ર પંડયાએ કેસથી ડિસ્ચાર્જ કરવા માટે કરેલી અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દઈને આગામી 3જી મેના રોજ આરોપીઓ સામે ચાજફ્રેમ માટે રાખ્યો છે. આથી માધવપુરા બેંકના એમડી દેવેન્દ્ર પંડયા, બિગબુલ કેતન પારેખ અને જગદીશ પંડયા સામે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાશે. જયારે એક આરોપી કોમામાં છે. આ ઉપરાંત ચેરમેન રમેશ પરીખ મૃત્યુ પામ્યા હતા. માધવપુરા બેંક તરફથી ખાસ એડવોકેટ ગૌરાગ વ્યાસ હાજર રહ્યા હતા.
શું હતો કેસ
વર્ષ 2001માં માધવપુરા કો.ઓપરેટિવ બેંકમાંથી ગેરકાયદે રીતે શેરબજારના સટ્ટાકીંગ કેતન પારેખને કરોડોની લોન આપી હતી, જેમાં લાખો રોકાણકારોના આશરે 1,020 કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. સીબીઆઈએ તપાસ કરતા બહાર આવ્યું હતું કે, માધવપુરા
મર્ચન્ટાઇલ કો.ઓપરેટીવ બેંકમાં કોઈપણ દસ્તાવેજો વગર લોનો મેળવીને શેરબજારમાં રોકણ કર્યુ હતુ, જેના લીધે બેંક ડૂબી જતા રોકાણકારો પોતે રોકેલાં નાણાં પરત મેળવવા બેંકમાં દોડી આવ્યા હતા. આમ આશરે 50 હજારથી વધુ રોકાણકારોના નાણાં બેંકમાં ડૂબ્યા હતા. જેના લીધે ગુજરાતની આશરે 70થી વધુ સહકારી બેંકોને અસર થતાં તેમાં આશરે બે લાખથી વધુ થાપણકારોનાં નાણાં ડૂબ્યા હતા. જોકે, કેતન પારેખે ત્રણ વર્ષમાં 350 કરોડથી વધુ રકમ ભરવાની શરતે નીચલી કોર્ટમાંથી શરતી જામીન મેળવી લેવામાં સફળ રહ્યો હતો.
23 વર્ષ બાદ પણ 14 હજાર રોકાણકારોને 50 કરોડથી વધુ ચૂકવવાના બાકી
માધવપુરા બેંકે 12 બ્રાન્ચો સહિત 14 મિલ્કતો વેચાણ માટે મૂકી હતી. બેંકની 7 બ્રાન્ચો વેચાતા 16 કરોડ વસૂલાયા હતા.
2001માં બેંક બંધ થતા બેંક ઓફ ઈન્ડિયાના 137 કરોડ લેવાના થતા હતા. જે કેસ બેંક ઓફ ઇન્ડિયા જીતી જતા માધવપુરા બેંકને ચૂકવી આપવા નિર્દેશ આપ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ સાથે કુલ 1,100 કરોડથી વધુ રૂપિયાની માગણી કરી છે.
કેતન પારેખ સિવાય અન્ય 500 જેટલા ડિફોલ્ટરો પાસેથી બેંકને કુલ 240 કરોડથી વધુ વસુલવવાના બાકી છે.
બેંકના 50 હજાર જેટલા થાપણદારો પૈકી હજુ પણ 14 હજાર રોકાણકારોને 50 કરોડથી વધુ ચૂકવવાના બાકી છે.
સટ્ટાકિંગ કેતન પારેખ 350 કરોડથી વધુ રકમ ભરવાની શરતે જામીન મેળવ્યા હતા. આ પછી નાણાં દસ વર્ષે ભરતા બેંકે કેતન પારેખ પાસે વ્યાજ સહિત 1,500 કરોડથી વધુની માંગણી કરીને કોર્ટમાં અરજી કરી હતી.
બેંકના ડિફોલ્ટરો પાસેથી બાકી નાણાં વસૂલવા માટે સરકારે વહીવટદારની નિમણૂંક કરાઈ છે જો કે,બેંકમાં ડિફોલ્ટરો પાસેથી નહીંવત વસૂલ કરાઈ છે.
બેંકએ ડિફોલ્ટરો સામે સિવિલ કોર્ટમાં ફરિયાદો કરી હતી.જેમાં રીકવરીના હુકમો થયા હોવા છતા વસૂલ કરવામાં બેંકના અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે.
કૌભાંડ બહાર આવતા જ શેરબજારમાં 3 હજાર પોઈન્ટનું ગાબડું પડયું હતું
2001ની શરૂઆતમાં માધવપુરા બેંકની લોનનો ફુગ્ગો ફૂટતા જ સેન્સેક્સમાં 3,000 પોઇન્ટનું ગાબડું પડયું હતું. તે વખતે કેતન પારેખે માધવપુરા બેંકમાંથી મોટી રકમની ગેરંટી મેળવી હતી અને શેરજારમાં રોકાણ કર્યુ હતુ. તે સ્ટોકમાં ગાબડું પડવાના લીધે બેંકને મોટું નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ બેંકના ડિપોઝિટરે 8 માર્ચ 2001ના રોજ ખબર પડી કે, મોટું નુકસાન થયું છે
બેંકના એમડીની 15થી વધુ અરજીઓ ફગાવાયેલી
બેંક દ્વારા ચેરમેન સહિત હોદ્દેદારો સામે CID ક્રાઈમમાં 100થી વધુ ફ્રિયાદો કરી હતી. જેમાં 72 જેટલા કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ હતી. બેંકના એમડી દેવેન્દ્ર પંડયાએ લાંચની કલમ દૂર કરવા 15થી વધુ અરજી ફગાવી દીધી છે.


