ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિન પર તમિલનાડુ પ્રીમિયર લીગ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મદુરાઈ પેન્થર્સે પણ અશ્વિન અને તેની ફ્રેન્ચાઈઝી સામે ફરિયાદ નોંધાવી છે.
મદુરાઈ પેન્થર્સે 14 જૂનના રોજ તેમની મેચ દરમિયાન અશ્વિન અને તેની ફ્રેન્ચાઈઝી પર બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં TNPLના આયોજકોએ મદુરાઈ પેન્થર્સ ટીમ પાસેથી પુરાવા માંગ્યા છે.
મદુરાઈ પેન્થર્સે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ડિંડુગલ ડ્રેગન્સે બોલને ભારે બનાવવા માટે કેમિકલમાં પલાળેલા ટુવાલનો ઉપયોગ કર્યો હતો. તેમને આરોપ લગાવ્યો હતો કે બોલ સાથે છેડછાડને કારણે બોલ મારતી વખતે તેમાંથી મેટાલિકનો અવાજ આવી રહ્યો હતો.
TNPLના CEO એ આ મામલે શું કહ્યું?
ટીએનપીએલના સીઈઓ પ્રસન્ના કન્નને કહ્યું કે “તેઓએ ફરિયાદ નોંધાવી છે, જેને અમે સ્વીકારી લીધી છે. પરંતુ રમત શરૂ થયાના 24 કલાકની અંદર તેમને કોઈપણ ફરિયાદ નોંધાવવાની હોય છે, તેમ છતાં અમે તેને સ્વીકારી લીધી છે અને તેમને આરોપોના પુરાવા આપવા પણ કહ્યું છે.
જો અમને તેમના આરોપોમાં કોઈ સત્ય મળશે, તો અમે એક સમિતિની રચના કરીશું. પૂરતા પુરાવા વિના ખેલાડી અને અન્ય ફ્રેન્ચાઈઝી સામે આવા આરોપો લગાવવા ખોટા છે. જો તેઓ કોઈ પુરાવા આપી શકશે નહીં, તો તેમને સજાનો સામનો કરવો પડશે.”
જે મેચમાં લાગ્યા આરોપ, તેમાં કોની થઈ જીત?
મદુરાઈ પેન્થર્સે 14 જૂનના રોજ અશ્વિનની ટીમ ડિંડુગલ ડ્રેગન્સ સામે મેચ રમી હતી. આ મેચ પછી મદુરાઈ પેન્થર્સે અશ્વિન અને ડિંડુગલ ટીમ પર આરોપો લગાવ્યા હતા. આ મેચમાં અશ્વિનની ટીમે મદુરાઈ પેન્થર્સને 9 વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા મદુરાઈ પેન્થર્સ 20 ઓવરમાં માત્ર 150 રન જ બનાવી શક્યા હતા. જ્યારે અશ્વિનની ટીમે આ ટાર્ગેટ ફક્ત 12.3 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.