મહારાષ્ટ્રના વેપારીએ રાજકોટના સોની સાથે 13.49 લાખની છેતરપિંડી કરી
પાંચ વર્ષના વેપારી સંબંધો બાદ 31 કિલોથી વધુ ચાંદીના દાગીના ઓળવી લીધા; એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સોની બજારમાં વેપાર કરતા સોની વેપારી સાથે મોટાપાયે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક વેપારીએ વર્ષો સુધીના વિશ્વાસનો દુરુપયોગ કરી લાખો રૂપિયાના ચાંદીના દાગીના મેળવી લીધા બાદ ચુકવણી ટાળતા આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
આ અંગે શહેરના અમીન માર્ગ વિસ્તારમાં તપોવન સોસાયટીમાં રહેતા અને માંડવી ચોક નજીક સોની બજારમાં “આર.કે. સિલ્વર” નામે ભાગીદારીમાં વ્યવસાય કરતા રણજિતભાઈ ખેંગારભાઈ વાઢેરે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, આરોપી દેવીલાલ વાઘારામ માલી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના આષ્ટાગામમાં “અર્બુદા સિલ્વર જ્વેલર્સ” નામે દુકાન ચલાવે છે. છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે નિયમિત વેપારી લેવડદેવડ ચાલતી હતી અને શરૂઆતમાં સમયસર ચુકવણી થતી હોવાથી સંપૂર્ણ વિશ્વાસ ઊભો થયો હતો.
પરંતુ મે-2024 બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. આરોપીએ પ્રથમ તબક્કામાં 18 કિલો 104 ગ્રામ ચાંદીના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો, જેની કિંમત રૂ.8,06,189 થતી હતી. તેની સામે આંશિક રૂપે રૂ.4,22,400 જમા કરાવ્યા હતા. ત્યારબાદ ફરી 17 કિલો 847 ગ્રામ દાગીના કુરિયર મારફતે મંગાવ્યા, જેની કિંમત રૂ.9,65,908 હતી.
આ રીતે કુલ 31 કિલો 727 ગ્રામ ચાંદીના દાગીના મેળવી લીધા બાદ બાકી રૂ.13,49,697ની રકમ ચૂકવવામાં આરોપીએ ટાળટૂળ શરૂ કરી દીધી. રણજિતભાઈ રૂબરૂ ઉઘરાણી માટે મહારાષ્ટ્ર ગયા ત્યારે પણ માત્ર આશ્વાસન જ મળ્યા હતા. લાંબો સમય પસાર થવા છતાં નાણાં પરત ન મળતાં અંતે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો.
ફરિયાદના આધારે રાજકોટ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વેપારી જગતમાં આ બનાવને લઈને ચર્ચા જોર પકડી રહી છે.


