સમગ્ર ગ્રહોના રાજા ભગવાન સૂર્યદેવ બાર રાશિમાં લગભગ એક એક માસને અંતરે પ્રવેશ કરે છે તેથી એક વર્ષમાં સૂર્યદેવ બાર રાશિમાં પ્રવેશ કરે છે. આપણે તેને સંક્રાંતિ કહીએ છીએ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવે છે. પહેલો ઉત્તરાયણ અને બીજો દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરતા આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. મકરસંક્રાંતિ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે.
આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના અનુસાર 14મી જાન્યુઆરીએ આવે છે. ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. આની પહેલાં સૂર્ય ધન રાશિમાં હતો, ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ભારતીય પંચાંગ પ્રમાણે કમુરતાં ચાલતાં હોય છે. એટલે કે લગ્ન આદિ માંગલિક કાર્યો થતાં નથી. જ્યારે મકર રાશિમાં સૂર્ય આવતાંની સાથે જ શુભ કાર્યો કરવાની લીલીઝંડી મળી જાય છે.
વિવિધ પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવનો જન્મ કશ્યપ મુનિના અંશ અને માતા અદિતિના ગર્ભથી થયેલો, એટલે સૂર્યદેવ આદિત્યના નામથી જગપ્રસિદ્ધ થયા. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પરબ્રહ્મના રૂપમાં પ્રતિષ્ઠિત કરેલા છે. જ્ઞાન, વિવેક, યશ, વિદ્યા, સન્માન અને આર્થિક પ્રાપ્તિ તો સૂર્ય આરાધનાથી પ્રાપ્ત થાય છે. ભારતીય પરંપરામાં તો વેદકાળથી જ સૂર્યનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. સૂર્ય એ દરિદ્રતાનો નાશ કરનાર, પાપ, રોગ અને દુઃખ હરનાર છે. મહર્ષિ યાજ્ઞવલ્યકજીએ સૂર્યકૃપાથી જ વેદમંત્રોનું દર્શન કર્યું હતું.
મકરસંક્રાંતિના દિવસે ગાયત્રી ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે સૂર્ય દ્વારા જ દિશા, આકાશ, સ્વર્ગ, ધુલોક, ભૂલોક, મોક્ષ, નરક અને રસાતળ તથા સમસ્ત લોકોનું વિભાજન થાય છે. આ દિવસે શનિદેવની શાંતિ માટે, કૃપા મેળવવા માટે સુવર્ણ, કાળા તલ, લોખંડ, ઈન્દ્રજવ, નીલમ, અડદ, સરસિયું તેલ, કામળી, છત્રી, કાળું વસ્ત્ર અને ભેંસનું દાન કરવાથી સંપૂર્ણ શાંતિ થાય છે.
ગ્રીક સંસ્કૃતિની સાથે ઉત્તરીય અમેરિકાથી મૂળ જાતિ-પ્રજાતિમાં સૂર્યદેવ તરીકેનું અસ્તિત્વ સ્વીકારાયું છે અને પૂજન થાય છે. જ્યારે એસ્કિમો જાતિના લોકોમાં સૂર્યનૃત્ય પણ પ્રખ્યાત છે. સ્કંદપુરાણ અનુસાર આ દિવસે તલ, ફળ, ઘી, ગોળ, અનાજ, કપડાં, રોકડ રકમ અને સુવર્ણ દાનનો મહિમા અનેરો છે. આમ, સૂર્યદેવની આરાધના, ઉપાસના કે પૂજન-અર્ચન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધનાનું ફળ મળે છે.
ઉત્તરાયણ એ સૂર્યનું પવિત્ર અયન ગણાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આઠમા અધ્યાય `અક્ષર બ્રહ્મયોગ’માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છેઃ ઉત્તરાયનમાં મૃત્યુ પામેલા બ્રહ્મજ્ઞાની બ્રહ્મપદને પામે છે. જ્યારે પાછલા છ માસના દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર ચંદ્રની જ્યોતિ પામી ફરી આલોકમાં આવે છે. મહાભારતકાળમાં અર્જુનનાં બાણોથી વીંધાઈને બાણશય્યા પર સૂતેલા અને ઇચ્છામૃત્યુનું વરદાન ધરાવતા ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો શુભ દિવસ પણ છે.
મકરસંક્રાંતિ મૂળ હિન્દુ ધર્મનું પર્વ છે. આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઈશ્વર ગણતાં આર્યોના આગમનનો ઉત્સવ છે. મધ્ય એશિયાથી ઈરાન થઈ જ્યારે આર્યો હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેની યાદગીરીનો ઉત્સવ મકરસંક્રાંતિ છે. કોઈને યાદ હશે ખરું કે સૂર્યનું પણ એક નામ પતંગ છે. આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે –
`રામ ને ઈક દિન ચંગ ઉડાઈ,
ઇંદ્રલોક મેં પહૂંચ ગઈ.’
ત્રેતાયુગમાં આવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી.
સૂર્યોપાસનાથી જ યુધિષ્ઠિરને અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું
મહાભારતના વનપર્વમાં આવતા ઉલ્લેખ અનુસાર સૂર્ય ઉપાસનાથી જ યુધિષ્ઠિરને અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું માટે મકરસંક્રાંતિ એ સૂર્ય ઉપાસના માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જપ, તપ, દાન, સ્નાન અને સૂર્યદેવની વિવિધ પ્રકારે આરાધના કરવાથી પુણ્યકાળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગુપ્તદાન અને જ્ઞાનદાનનો મહિમા ખાસ ગણાવ્યો છે.
મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારે નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો ત્યાં જઈ શકાય તેમ ન હોય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરી શુદ્ધ થઈને ભૂમિ ઉપર ચંદન વડે ષટ્દલ કમળથી રચના કરીને તેના ઉપર સૂર્યદેવનું આહ્વાન કરવું તથા તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં ચંદન, પુષ્પો, તલ, અક્ષત, ફૂલો અને વિવિધ દ્રવ્યો નાખીને પૂર્વાભિમુખ થઈને સૂર્યદેવને અર્ધ્ય આપીને ઓમ્ હ્રીં આદિત્યાય ભાનવે નમઃ ના જાપ કરવા અને તલના લાડુમાં પૈસા મૂકીને ગરીબોને દાન આપવું. આમ, ગુપ્તદાન કરવાથી સૂર્યદેવ રીઝે છે અને જે લોકો રોગ, ક્રૂર ગ્રહોની પીડાથી પરેશાન હોય તેમને શાંતિ મળે છે તથા સંતાનકામના, વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ જેવાં મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
મકરસંક્રાંતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક પણ છે. ભારતમાં સંક્રાંત અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે. જેમ કે, પંજાબમાં લોહડી, મહારાષ્ટ્રમાં ક્રિકાંતિ અને ભોગી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી અને આપણા ગરવા ગુજરાતમાં તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણથી આપણે ઊજવીએ છીએ. ઉત્તરાયણની આગલી રાતથી પતંગોત્સવની ઉજવણીમાં આપણે સૌ પરોવાઈ જઈએ છીએ અને ઉત્તરાયણના દિવસે ફૂલગુલાબી વાતાવરણમાં પતંગોત્સવના મહિમાની સાથે સાથે તલગોળની ચિક્કી, સીંગની ચિક્કી, શેરડી, જામફળ, બોર, ખજૂર, જિંજરાં અને ચટાકેદાર સુરતી ઊંધિયું અને રસઝરતી જલેબી ખાવાનું ચલણ માત્ર ગુજરાતીઓમાં જ છે. રાત્રે ફટાકડાની આતશબાજી અને ઝગમગતી તુક્કલોની વચ્ચે આ પર્વને હર્ષોલ્લાસથી ઊજવે છે. આમ, મકરસંક્રાંતિ એ આકાશ, પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાનું અનેરું પર્વ છે.
પતંગનો પ્રાચીન ઇતિહાસ
પતંગબાજીનો શોખ આમ તો નવાબી શોખ કહેવાતો અને સૌપ્રથમ ઈ.સ. પૂર્વ 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે. તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો. આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસ અને હિન્દુસ્તાનમાં આવ્યો. હિન્દુસ્તાનમાં સર્વપ્રથમ પતંગબાજી 1750ની સાલમાં પૂરજોશમાં થઈ હતી. નવાબો તેમજ શહેનશાહોએ આ પતંગબાજીને શાહી રમતનો દરજ્જો આપ્યો જે ફૂલીફાલીને અમદાવાદ, સુરત, વડોદરા જ નહીં બલકે સમગ્ર ગુજરાતમાં મોજમજા અને આનંદ-પ્રમોદનો લહાવો લૂંટતી પ્રજાજનોના ઉત્સવપ્રિય માનસને પોષી રહી છે. પતંગરસિયાઓ મહિનાઓ પહેલાં પતંગ અને દોરાની ખરીદી કરવા લાગે છે.