- ઉપવાસમાં બનાવો ઢોકળા
- ફરાળી અને ટેસ્ટી ઢોકળાથી મળશે નવો સ્વાદ
- ઉપવાસમાં પણ માણો ટેસ્ટની મજા
આજથી નવરાત્રિનું પર્વ શરૂ થયું છે અને સાથે અનેક ભક્તોએ મા દુર્ગાના ઉપવાસ કર્યા છે. એવામાં જો તમે ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી રેસીપી શોધી રહ્યા છો, તો અમે તમને સ્વાદિષ્ટ ફરાળી ઢોકળાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનાથી તમે ફરાળમાં પણ અનેક ચીજો ખાઈ શકશો અને તમને ટેસ્ટ પણ મળશે. તો જાણો ખાસ રેસિપિ.
સામગ્રી
- 1 કપ સામો
- 1 ચમચી શિંગોળાનો લોટ
- 1/2 કપ દહીં
- 1/2 ચમચી ઝીણું સમારેલું આદુ
- 1/2 ચમચી લીંબુનો રસ
- 1/2 ચમચી વરિયાળી
- 1/2 ટીસ્પૂન મરી પાવડર
- 1 લીલું મરચું
- મીઠો લીમડો
- 1/2 ચમચી જીરું
- 1/4 ચમચી ખાવાનો સોડા
- સિંધવ મીઠું
- 2 ચમચી ઘી
રીત
સૌથી પહેલા સામો સાફ કરી લો. મિક્સરમાં પીસીને કરકરો પાવડર બનાવીને એક બાઉલમાં કાઢી લો. તેમાં શિંગોડાનો લોટ, દહીં અને સિંધવ મીઠું મિક્સ કરો અને તેને 15 મિનિટ સુધી રાખો. હવે સ્વાદ મુજબ લીંબુનો રસ, 1 ચમચી ઘી અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો. ખાવાનો સોડા ઉમેરો અને આ મિશ્રણને મોલ્ડમાં રેડો અને તેને 10 મિનિટ માટે વરાળ પર રાંધવા દો. ટૂથપિકથી તપાસો કે એ સરખું પાકી ગયું છે કે નહીં. પછી ઢોકળાને ચોરસ ટુકડામાં કાપીને મોલ્ડમાંથી બહાર કાઢો. એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું ફૂટે ત્યારે તેમાં મીઠો લીમડો અને ઉભું કાપેલું લીલું મરચું ઉમેરો, થોડી સેકંડ માટે ગેસ પર રાંધ્યા પછી, તેને ઢોકળા પર નાખો. તૈયાર છે ફરાળી ઢોકળા. ઢોકળાને ફરાળમાં ખાઈ શકાય એવી ચટણી સાથે સર્વ કરો.