ભારતને લઈ હવે માલદીવની મોહમ્મદ મુઈજ્જુ સરકારને સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિને હવે ભાન થઈ ગયું છે કે, ભારતની સાથે તેના સંબંધ મજબૂત કરવા જોઈએ. ભારત વગર માલદીવનો કોઈ ઉદ્ધાર નથી.
માલદીવ સરકારને એક વર્ષની અંદર ભાન થઈ ગયું છે. માલદીવ વહીવટી તંત્રએ પ્રથમવાર એ વાતને માનવી શરૂ કરી છે કે તેઓએ ભારત સાથે સારા સંબંધોને ખરાબ કરી લીધા છે. માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે જણાવ્યું કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની આગેવાની ધરાવતી સરકારના સમયમાં ભારત-માલદીવના સંબંધ ખરાબ સમયમાંથી પસાર થયા છે. પરંતુ આ સમયે બંને સરકારે ગેરસમજ દૂર કરી લીધી છે. વિદેશ મંત્રી મુસા ઝમીરે એ વાતને શુક્રવારે શ્રીલંકા પ્રવાસે જણાવી હતી.
ચીન તરફી મોહમ્મદ મુઇઝુએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના કલાકો પછી, માલદીવને ભેટમાં આપેલી ત્રણ ભારતીય સૈન્ય ટુકડીઓને ભારત પરત મોકલવામાં આવી હતી. બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ સૈનિકોને બદલે ટેકનિકલ કર્મચારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.
માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે કહ્યું કે, ભારતની સાથે બીજા સહયોગી દેશો સાથે પણ માલદીવ પોતાના સંબંધો ઉત્તમ બનાવવા માગે છે. ઝમીરે કહ્યું કે, માલદીવ સાથે ભારતીય સૈન્ય ટુકડી હટાવ્યા પછી માલદીવ-ભારતના સંબંધો પડકારજનક રહ્યા, પરંતુ હવે આ ગેરસમજ દૂર થઈ ચુકી છે.
ગયા વર્ષે માલદીવ-ભારતના સંબંધ વણસ્યા હતા
વિદેશ મંત્રી ઝમીરનું કહેવું છે કે, માલદીવ આંતરાષ્ટ્રીય નાણાંકોષ એટલે કે, આઈએમએફથી રાહત પેકેજની વિનંતી નહીં કરે. તેઓએ જણાવ્યું કે, પોતાના દ્વિપક્ષીય ભાગીદાર મિત્રો પર ભરોસો છે કે, તેઓ તેની સ્થિતિને સમજશે.
વિદેશ મંત્રીએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ચીન અને ભારત-માલદીવનું સમર્થન કરવામાં મહત્ત્વપૂર્ણ દેશ રહી ગયો છે. વિદેશ મંત્રી મુસા ઝમીરે આ ટિપ્પણી માલદીવના નાણાકીય સ્થિતિ અંગે ક્રેડિટ રેટિંગ એજન્સીઓને ચેતવણી જોતા કહી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં માલદીવ પર 40.9 કરોડ અમેરિકી ડોલરનું જંગી દેવું છે. જ્યારે દેશમાં વર્તમાન વિદેશી હૂંડિયામણ 44.4 કરોડ અમેરિકી ડોલર છે.


