માલિયાસણ પાસે વૃદ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
પેડક રોડ પર રહેતા વૃદ્ધે લાંબી બીમારીથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
મળતી વિગતો મુજબ પેડક રોડ પર આવેલી ગુજરાત સોસાયટી, શેરી નં. 3માં રહેતા અરવિંદભાઈ રવજીભાઈ રૈયાણી (ઉ.વ. 95) ગઈકાલે સવારે ઘરેથી નીકળ્યા બાદ બપોરના સમયે માલિયાસણ રેલવે બ્રિજ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવનનો અંત આણી લીધો હતો. ઘટનાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક વૃદ્ધ લાંબા સમયથી બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીઓથી પીડાતા હતા, જેના કારણે તેઓ માનસિક રીતે તણાવમાં રહેતા હતા. પ્રાથમિક રીતે બીમારીથી કંટાળી આ અતિશય પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
અરવિંદભાઈ ચાર ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતા. અગાઉ તેઓ ચાંદીના કામ સાથે સંકળાયેલા હતા. સંતાનમાં તેમને બે પુત્રો છે. વૃદ્ધના અચાનક અવસાનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.


