- બાંગ્લાદેશની જેલમાંથી અનેક આતંકવાદીઓ ફરાર
- આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ
- BSFએ સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું
બાંગ્લાદેશની જેલમાંથી ઘણા આતંકવાદીઓ ફરાર થઇ ગયા છે. એવા સમાચાર છે કે આ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે, જેના કારણે સરહદ પર BSFને એલર્ટ કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે. બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. BSF તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે. ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ડીજીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
એક અધિકારીએ જણાવ્યું કે BSFએ 4,096 કિલોમીટર લાંબી સરહદ પર સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે. BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથેના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી. ડીજીએ ઉત્તર 24 પરગણા જિલ્લાની સરહદની પણ મુલાકાત લીધી હતી.
10-15 બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રયાસ
10-15 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર અમુદિયા બોર્ડર ચોકી નજીક ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આવા તમામ સંવેદનશીલ પ્રવેશ બિંદુઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે અને ત્યાં વિશેષ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ તરફથી, નાદિયા જિલ્લાના માલુપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં ઘૂસણખોરીના પ્રયાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લાની સાસની બોર્ડર ચોકીના વિસ્તારો પણ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. BSFએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો છે.


