બ્રાસપાર્ટની ભઠ્ઠી ધરાવતા વેપારીએ પત્ની, બે સંતાનો સાથે ભરેલા પગલાથી ભારે અરેરાટી : આપઘાતનું કારણ અકબંધ
જામનગરમાં બ્રાસ પાર્ટસની ભઠ્ઠી ધરાવતા વેપારીએ પત્ની અને બે સંતાનો સાથે ભાણવડના ધારાગઢ ખાતે દોડી જઇ જંગલ-ઝાડી વિસ્તારમાં ચારેય સભ્યોએ એકી સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી છે. ઘટના બાદ સ્થળ પર દોડી આવેલી પોલીસે મૃતદેહો હોસ્પિટલે ખસેડયા બાદ સામુહિક આપઘાત પાછળનું કારણ શોધવા કવાયત આરંભી છે. હાલ એવું મનાય છે કે પોલીસને સ્થળ પરથી એક બેગ મળી આવી છે અને તેમાં સ્યુસાઇડ નોટ પણ હાથ લાગી હોય તેવું મનાય રહ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ-1માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42)ને જામનગરમાં પિત્તળની ભઠ્ઠી છે. તે કોઈપણ સમયે પત્ની લીલુબેન (ઉ.વ. 42), પુત્ર જિજ્ઞોશ (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ (ઉ.વ. 18) સાથે બે ટુ વ્હીલર પર સંભવતઃ જામનગરથી નીકળી લાલપુર થઈ ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામે પહોંચ્યા હતા.
જયાં રોડથી અંદરની સાઈડ 500 મીટરના અંતરે રેલ્વે ફાટક નજીક કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં ચારેયના સ્થળ પર મોત નિપજયા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેમને બેભાન હાલતમાં જોતાં ભાણવડ પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઈ માણસુરભાઈ સવસેટા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. તે વખતે સ્થળ પરથી એક બાઈક અને એકટીવા મળી આવ્યું હતું.
પરિવારના ચારેય સભ્યોને 108માં ભાણવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પરથી મૃતકોના 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાંથી એક મોબાઈલમાં સ્ક્રીન લોક ન હોવાથી તેના આધારે પોલીસે મૃતકોના સંબંધીઓને કોલ કરી ઓળખ મેળવી હતી.
સ્થળ નજીકથી કપાસમાં છાંટવાની ઝેરી દવા મળી આવી હતી. જેના આધારે તે પી આત્મહત્યા કરી લીધાના તારણ પર પોલીસ પહોંચી હતી. જોકે પરિવારના ચારેય સભ્યોએ કયા કારણથી આ અંતિમ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ આપઘાત પાછળનું કારણ ગંભીર હશે તેવું પોલીસ માની રહી છે. ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોની પણ પોલીસ પુછપરછ કરશે.
ચારેય મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવવા પોલીસે તજવીજ શરૂ કરી છે. પરિવારના ચારેય સભ્યો ખરેખર જામનગરથી કયારે નીકળ્યા, કયારે ધારાગઢ પહોંચી આ પગલું ભર્યું તે વિશે પણ પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી. આપઘાત કરનાર પરિવારના મોભી અશોકભાઈ મૂળ જામનગરના મોડપર ગામના વતની છે. જયારે તેના પત્ની લાલપુરના નાંદુરી ગામના વતની છે તેમ પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.