ગુજરાત શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર ચાલુ થયો છે. શિક્ષણ વિભાગે મોટા પાયે વહીવટી ફેરફાર કરતા 200 જેટલા ક્લાસ-2 અધિકારીઓની બદલીઓના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓમાં શિક્ષણ નિરીક્ષકો, આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પછી સરકારે તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાની પણ વાત કરી છે. જેથી તમામ ક્લાસ-2 અધિકારીઓને નિયત જગ્યા ઉપર ઝડપી જોડાઇ જવું પડશે. ઉપરાંત વર્ગ-3ના ૧૯૬ મદદનીશ શિક્ષકોને પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ બદલીઓ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સામૂહિક બદલીઓથી શિક્ષણ વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા આવશે અને વહીવટી કામગીરી વધુ સરળ બનશે. DEO કચેરીઓમાં શિક્ષણ નિરીક્ષકોની સામૂહિક બદલીઓના આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત, તાજેતરમાં રાજ્ય સરકારે IAS અધિકારીઓની પણ મોટી સંખ્યામાં બદલીઓ કરી છે, જેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે, જે શિક્ષણ વ્યવસ્થામાં નવા સુધારા લાવશે. જણાવી દઈએ કે, મિલિંદ તોરવણે (IAS 2000)ને પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ તેમણે નવા પદની જવાબદારી આપવામાં આવી છે. તેવામાં શિક્ષણ વિભાગના ક્લાસ ટૂ અધિકારીઓના બદલીના ગંજીપા ચિપાઈ ગયા છે.
આ બદલીઓને લઈને શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, આ બદલી સંપૂર્ણપણે વહીવટી હિત અને શૈક્ષણિક વ્યવસ્થાના મજબૂતીકરણ માટે કરવામાં આવી છે. આ બદલીઓથી શિક્ષકો અને અધિકારીઓમાં નવો ઉત્સાહ આવશે. શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે તેવી અપેક્ષા દાખવવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના આ આદેશો તાત્કાલિક અમલમાં મૂકવાના છે, જેથી અધિકારીઓને નવી જગ્યાએ જલ્દી જોડાવું પડશે.
૯૯૦૬ શિક્ષકોએ જિલ્લા આંતરીક બદલી માટે અરજી કરી
રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની સિનિયોરીટીના આધારે આંતરિક બદલીઓ થશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 9906 શિક્ષકોએ બદલી માટે અરજી કરી છે. આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોને 1 જાન્યુઆરી, 2026ના રોજ ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવશે. આંતરિક બદલી કેમ્પની અરજીમાં સુધારો કરવા માટે શિક્ષકોને તક આપવામાં આવી છે. જે અનુસાર 26 ડિસેમ્બરના રોજ સુધારાની મુદત પૂર્ણ થઇ હતા. આંતરિક બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લાફેર બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો છે.


