- ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડી
- ફ્લાઈટમાંથી ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
- અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
ભારતીય ટીમના ખેલાડી અને રણજી ટ્રોફી કર્ણાટક ટીમના કેપ્ટન મયંક અગ્રવાલને મંગળવારે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખરેખર, અહેવાલો અનુસાર, મયંક અગ્રવાલે ફ્લાઇટમાં ભૂલથી પાણીને બદલે ઝેર પી લીધું હતું. જે બાદ તેમની તબિયત બગડતાં તેમને ત્રિપુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, મયંક અગ્રવાલની હાલત હવે સારી હોવાનું કહેવાય છે. હવે આ મામલે મયંક અગ્રવાલ દ્વારા પોલીસ રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસમાં કેસ નોંધાયો
મયંક અગ્રવાલના મેનેજરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ એસપી પશ્ચિમ ત્રિપુરા કિરણ કુમારે કહ્યું કે, જ્યારે મયંક અગ્રવાલ ફ્લાઈટમાં બેઠો ત્યારે તેની સામે એક બેગ હતી જેમાં એક બોટલ હતી. મયંકે તેને પાણીની બોટલ સમજીને પીધું હતું પરંતુ તેમાં ઝેર હતું. જે બાદ મયંકનો ચહેરો સૂજી ગયો હતો અને મોઢામાં ફોલ્લાઓ દેખાયા હતા. જોકે, હવે તેમની તબિયત સ્થિર છે. અમે ફરિયાદ નોંધીશું અને મામલાની તપાસ કરીશું.
કર્ણાટક ટીમને મોટો ફટકો
કર્ણાટકની ટીમ તેની આગામી રણજી મેચ માટે ત્રિપુરાથી દિલ્હી આવવાની હતી પરંતુ મયંક અગ્રવાલની તબિયત ખરાબ હોવાને કારણે ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી. કર્ણાટકની ટીમની આગામી મેચ રેલવે સાથે થવાની છે.
મયંક અગ્રવાલ આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જે ટીમ માટે મોટો ફટકો હશે કારણ કે મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી મયંકે ચાર મેચમાં 2 સદી ફટકારી છે. જોકે, તેમના કેપ્ટનની ગેરહાજરીમાં કર્ણાટકની ટીમ રાજકોટ પહોંચીને પોતાની આગામી મેચની તૈયારી કરશે.


