- નવ પદની ઓળીની આરાધના અત્યાર સુધી ઘણાબધાએ કરેલી છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ ઉદાહરણ મયણા અને શ્રીપાલનું છે
આસો સુદ છઠ્ઠથી આસો સુદ પૂનમ સુધીના દિવસો અને ચૈત્ર સુદ છઠ્ઠથી પૂનમ સુધીના નવ દિવસોનું મહત્ત્વ ઘણું હોય છે. જૈનો એને નવ પદજીની ઓળીના દિવસો કહે છે. આ દિવસોમાં ઘણા જૈનો આંબેલ કરતા હોય છે. આંબેલ એટલે સામાન્ય રીતે રસનો ત્યાગ અને તે પણ દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું.
રસનો ત્યાગ એટલે ચા-દૂધ પણ લઈ શકાય નહીં. દહીં, ઘી, ખાંડ કે ગોળ આંબેલમાં વાપરવાનાં ન હોય. ટૂંકમાં, રસ અને કસનો સર્વથા ત્યાગ કરવાનો હોય અને છતાં લાખો જૈન આવા આંબેલ કરીને આરાધનાઓ કરતા હોય છે.
નવપદમાં નવે દિવસ અલગ અલગ પદનાં હોય છે. પહેલા દિવસે અરિહંત પદનો મહિમા હોય છે. પછી ક્રમશ: સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાદું પદ અને એ પછી ચાર ગુણો એટલે કે જ્ઞાન પદ, દર્શન પદ, ચારિત્ર પદ અને પછી તપ પદ આ રીતે નવ પદની ઉપાસના કરવામાં આવે છે. નવ દિવસના આંબેલ તો ઘણા બધા જૈનો કરતા હોય છે. કેટલાક તો સો દિવસના આંબેલ ઉપર એક ઉપવાસ કરવાવાળા પણ મહાપુરુષો હોય છે. એમાં એવું હોય છે કે એક આંબેલ ઉપર એક ઉપવાસ પછી બે આંબેલ ઉપવાસ, ત્રણ આંબેલ ઉપવાસ આ રીતે વધતા વધતા સો આંબેલ ઉપર એક ઉપવાસ આવું તપ પણ ઘણા લોકો કરતા હોય છે. આને `વર્ધમાન તપની ઓળી’ કહેવાય છે. આ વર્ષમાં જેણે સો ઓળી પૂર્ણ કરેલી હોય એવા પણ ઘણા મહાત્માઓ હશે.
સાધુ-સાધ્વીજીઓ આટલું મોટું-લાંબું તપ કરે, વિહારમાં આયંબિલ શાળાની વ્યવસ્થા ન હોય તો લૂખી રોટલી અને તમારા માટે બનાવેલી દાળ કઢાવી રાખે, એ વાપરીને આંબેલ કરવાનાં હોય. સાથેસાથે વિહાર પણ કરવાના હોય.
આવા વિશિષ્ટ આરાધનાના દિવસો આવે છે. તમારી નજીકના કોઈ પણ આંબેલ ભવનમાં જઈને આવા આંબેલના તપસ્વીનાં દર્શન કરવાં જેવાં ખરાં એમની પાસે જઈને પુછાય કે આપ આટલા લાંબા દિવસો સુધી આ દૂધ વગર લૂખા આહારથી કેવી રીતે ચલાવી શકો છો? જીભ તો તમારી પાસે પણ અમારા જેવી જ દેખાય છે તો એ સ્વાદિષ્ટ આહારની ડિમાન્ડ કરતી નથી?
આવા તપસ્વીઓને આપણે વંદન કરીએ. જે પોતે ખાય તો છે જ, પણ છતાંય જીભ રાજી થાય એવું નહીં જ ખાવાનું. આત્માને રાજી કરાવે એવું જ આપણા પેટમાં નાંખવાનું.
આત્મા રાજી થાય પછી બીજું જોઈએ જ શું? નાનાં ભૂલકાં પણ આંબેલ કરતાં હોય. જેમને ચોકલેટો અને જંકફૂડ વગર ચાલે નહીં. આખો દિવસ કંઈ ને કંઈ ઓરવા જોઈએ જ એવા નાનાં નાનાં બાળકો પણ આંબેલ કરતાં હોય એ જોઈને એમના માટે આપણને અહોભાવ થયા વગર રહે નહીં.
આ નવ પદની ઓળીની આરાધના અત્યાર સુધી ઘણાબધા મહાપુરુષોએ કરેલી છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ ઉદાહરણ મયણા અને શ્રીપાલનું છે.
મયણા રાજકુમારી છે. પિતા અભિમાની છે. એ રાજા એટલે એને એવું અભિમાન કે રાજા જે કરે એમ જ થાય. મયણા કહે છે, પુણ્ય હોય તો થાય. પુણ્ય ન હોય તો રાજા ગમે તે કરે કંઈ ફરક ન પડે. રાજા એના વિધાનને સુધારવા કહે છે, પણ એ કર્મના સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારવાવાળી હતી. એ દૃઢ રહી.
રાજાએ એક કોઢિયા સાથે એનાં લગ્ન કરાવ્યાં. `લે, તારા કર્મમાં આવો પતિ છે. એ ડરી નહીં. ડગી નહીં. બીજા દિવસે ગુરુ મહારાજને વંદન કરવા પોતાના પતિને લઈને ગઈ. એ સમયે ગુરુદેવે એમને આ નવ પદની ઓળીની આરાધના કરવાનો ઉપદેશ આપ્યો.’
આરાધનાના પ્રતાપે એનો કોઢ રોગ દૂર થયો અને કેટલાં બધાં રાજ્યનો એ માલિક બને છે. જોકે, એની કથા બહુ લાંબી છે.
આ આંબેલ તપ પણ પ્રભાવશાળી છે, એનો મહિમા ઘણો છે. માંગલિક તરીકે પણ આવા આંબેલનું તપ કરતા હોય છે. ક્યારેક ઉપવાસ કરતાં પણ આનું મહત્ત્વ વધારે આંકવામાં આવે છે.