ગુજરાતના અમિત ગુપ્તાની કતારમાં ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે ભારત-કતાર સંબંધોમાં તણાવ વધી શકે છે. અમિત ગુપ્તાના માતા-પિતાનો આરોપ લગાવ્યો છે કે, 1 જાન્યુઆરીના રોજ કોઇપણ સત્તાવાર આરોપ વિનાની ધરપકડ કરવામાં આવી છે. અમિત ગુપ્તાની મુક્તિ માટે ભારત તરફથી રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરાના રહેવાસી અમિત ગુપ્તાની મુક્તિ માટે ભારતમાં નવી કસોટી શરુ થઇ હોય એમ લાગી રહ્યુ છે.
અમિત ગુપ્તા આરોપ વિના કસ્ટડીમાં
ભારત અને કતાર વચ્ચે ખૂબ સારા સંબંધો છે. છેલ્લી વખત, ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ ભારતે રાજદ્વારી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. હવે કતારમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. જે ભારતનો તણાવ વધારી શકે છે. ગુજરાતના વડોદરાના રહેવાસી અમિત ગુપ્તાની કતારમાં અટકાયત કરવામાં આવી છે. તેના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમનો પુત્ર 1 જાન્યુઆરીથી કોઈપણ સત્તાવાર આરોપ વિના કસ્ટડીમાં છે. તેના પિતાના જણાવ્યા મુજબ, તેને કતારની રાજ્ય સુરક્ષા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમિતના પિતા જગદીશ ઓએનજીસીના નિવૃત્ત ચીફ એન્જિનિયર છે. તે તરસાલી વિસ્તારનો રહેવાસી છે. શનિવારે, તેઓ વડોદરાના સાંસદ હેમાંગ જોશીને મળ્યા અને તેમના પુત્રની મુક્તિ માટે તેમનો સાથ માગ્યો હતો. જોશીએ ખાતરી આપી છે કે તેઓ તેમને દરેક રીતે મદદ કરશે.
અમિત ગુપ્તા કોણ છે?
અમિત ગુપ્તા ટેક મહિન્દ્રાના વરિષ્ઠ કર્મચારી છે. તેમણે આકાંક્ષા ગુપ્તા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેઓ ઓગસ્ટ 2013 માં કતારમાં સ્થાયી થયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, એપ્રિલ 2022 માં, તેમને ટેક મહિન્દ્રાના પ્રદેશ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના પિતાએ જણાવ્યું કે એક રેસ્ટોરન્ટમાં જ્યારે તેઓ જમી રહ્યા હતા. ત્યારે અમિતની સુરક્ષા એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એકાંત કારાવાસમાં મોકલી દેવામાં આવ્યો હતો. ધરપકડ પછી અમિતના માતા-પિતા કતાર ગયા અને ત્યાં એક મહિના રહ્યા. એક દિવસ તેમને ફક્ત અડધા કલાક માટે મળવાની મંજૂરી આપવામાં આવી.
તેની ધરપકડ શા માટે કરવામાં આવી?
અમિત ગુપ્તા સામેના આરોપોની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેટા ચોરી કેસની તપાસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. અમિત ગુપ્તાની માતાનો દાવો છે કે તેમના પુત્રને 48 કલાક સુધી જમવાનું આપવામાં આવ્યુ ન હતુ. પછી એક રૂમમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તે ત્રણ મહિનાથી છે. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા અમિતની માતાએ કહ્યું, ‘કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કંપનીમાં કોઈએ કંઈક સમસ્યા કરી હશે, કારણ કે તે કન્ટ્રી મેનેજર છે, તેથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે દર બુધવારે પાંચ મિનિટ માટે ફોન આવે છે, જે સંપર્કનો એકમાત્ર રસ્તો છે.
ભારતની રાજદ્વારી કસોટી!
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કહ્યું છે કે તેઓ દિલ્હીમાં આ મુદ્દો ઉઠાવશે. કતારે અમિત ગુપ્તાની ધરપકડનું કારણ જણાવ્યું નથી કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ શરૂ કર્યો નથી. જો ડેટા ચોરીની અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો, જો તે આ કેસમાં દોષિત સાબિત થાય છે, તો તેને કતારના કાયદા મુજબ જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ કેસ જાણી શકાય નહીં ત્યાં સુધી તે કેટલું હશે તે કહેવું મુશ્કેલ છે. કતારનો કાયદો શરિયા સિદ્ધાંતોનું મિશ્રણ છે, જે તેને વધુ કડક બનાવે છે. જોકે, કતારમાં ભારત માટે આ એક નવી રાજદ્વારી કસોટી છે. 2022 માં, કતારે કથિત જાસૂસીના કેસમાં આઠ ભારતીય નૌકાદળના અધિકારીઓની ધરપકડ કરી હતી. 2023 માં, તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. ભારતના રાજદ્વારી પ્રયાસો બાદ તેમને 2024 માં મુક્ત કરવામાં આવ્યા હતા. ગુપ્તાની અટકાયત 2022 પછી કતારમાં ભારતીય નાગરિક સાથે જોડાયેલો બીજો હાઇ-પ્રોફાઇલ કેસ છે. જેમ ભારતે મૃત્યુદંડની સજા પામેલા અધિકારીઓના કિસ્સામાં પોતાની રાજદ્વારી શક્તિનું પ્રદર્શન કર્યું હતું, તેવી જ રીતે શક્ય છે કે ભારત આ કેસમાં પણ હસ્તક્ષેપ કરે અને શક્ય તેટલી વહેલી તકે મામલો ઉકેલે.


