- પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો
- આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા
- આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા એરબેઝમાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ
પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત 5-6 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસ્યા છે. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં એક હુમલાખોર માર્યો ગયો છે. તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
TJPએ જવાબદારી લીધી
તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે ઘણા આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે. સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર વિડિયો ફૂટેજ પોસ્ટ કરીને હુમલાની પુષ્ટિ કરી છે.
પાકિસ્તાની સેનાનું નિવેદન
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકી હુમલો નિષ્ફળ ગયો છે. આ સાથે સેનાએ જણાવ્યું છે કે તેમનું ઓપરેશન અંતિમ તબક્કામાં છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે આત્મઘાતી હુમલામાં વાયુસેનાના ત્રણ વિમાનોને નુકસાન થયું છે.
બંને તરફથી ભારે ગોળીબાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા એરબેઝમાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતો. આત્મઘાતી હુમલાખોરો વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે અને બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. હજુ સુધી પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. મિયાંવાલી એ જ એરબેઝ છે જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી.
આ પહેલા શુક્રવારે પણ દારમાં સુરક્ષાદળોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પાસનીથી ઓરમારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.


