ફેમસ ભારતીય વેઈટલિફ્ટર અને ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ ચૂંટણી મંગળવારે થઈ હતી, જેમાં મીરાબાઈને બધા ખેલાડીઓએ સપોર્ટ કર્યો હતો.
ખેલાડીઓનો અવાજ ઉઠાવવો એ ગર્વની વાત છે: મીરાબાઈ
મીરાબાઈએ આ નવી જવાબદારીને ગર્વની ક્ષણ ગણાવી. તેણે કહ્યું કે “હું બધા ખેલાડીઓ તરફથી અવાજ ઉઠાવવા અને તેમની સમસ્યાઓ રજૂ કરવા માટે મારું કામ સંપૂર્ણ પ્રામાણિકતાથી કરીશ. મને વિશ્વાસ છે કે હું દરેક સ્તરે પ્રયાસ કરીશ જેથી અમે કોઈપણ બાહ્ય દબાણ વિના અમારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.”
મીરાબાઈ ચાનુનું કરિયર
મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં 49 કિગ્રા વર્ગમાં 210 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બીજી ભારતીય વેઈટલિફ્ટર છે. મીરાબાઈનો જન્મ મણિપુર રાજ્યમાં થયો હતો. તે કોમનવેલ્થ ગેમ્સ (2018 અને 2022) માં બે વખત ગોલ્ડ મેડલ વિજેતા છે. તેણે 2017 માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને 2022 માં સિલ્વર જીત્યો. મીરાબાઈએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યો છે.
વેઈટલિફ્ટર્સનો અવાજ બનશે મીરાબાઈ
મીરાબાઈ પેરિસ ઓલિમ્પિક 2024 ની દોડમાં મેડલ જીતવાની દાવેદાર હતી, પરંતુ માસિક સ્રાવ દરમિયાન નબળાઈને કારણે તે મેડલ જીતી શકી નહીં. તેનું સ્વપ્ન 2023 એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું હતું, પરંતુ હિપ ઈન્જરીથી તે ચોથા સ્થાને રહી. હવે એથ્લીટ્સ કમિશનના અધ્યક્ષ બન્યા પછી, મીરાબાઈ માત્ર એક ખેલાડી જ નહીં પરંતુ તમામ વેઈટલિફ્ટર્સનો અવાજ બનીને ઉભરી આવશે.


