લગ્નપ્રસંગમાં ગયા ત્યાં તબીયત લથડતાં તાત્કાલીક સારવારમાં ખસેડાયા: વધુ સારવાર માટે મુંબઇ લઇ જવાયા
અગ્ર ગુજરાત ,રાજકોટ
રાજકોટ દક્ષિણ વિભાગના ધારાસભ્ય,ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસો.ના પાયાના પથ્થર રમેશભાઇ ટીલાળાને ગઇ કાલે હ્રદય રોગનો હળવો હુમલો આવતાં તેમને પ્રાથમિક સારવાર રાજકોટમાં તેમના સબંધી કાર્ડિયોલોજીસ્ટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જયાં તેઓ ભયમુકત હોવાનું જણાવાયુ હતું. પરંતુ તકેદારીના પગલાં રૂપે તેમને વધુ સારવાર માટે મુંબઇ લઇ જવાયા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ગઇ કાલે સાંજે સાતેક વાગ્યે રાજકોટના એક અગ્રણી બિલ્ડરને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતાં. આ સમયે તેમની તબિયત અસ્વસ્થ લાગતાં તેમના નિકટના લોકોએ તાત્કાલીક તેમને ત્યાંથી તબિબિ સારવાર માટે લઇ જવાયા હતાં.રમેશભાઇના નિકટના પરિવરજનની હોસ્પિટલમા તેમના કાર્ડિયોગ્રામ વગેરે કાઢવામાં આવતાં રમેશભાઇને માઇનોર હાર્ટએટેક હોવાનું જણાવાયુ હતું. તાત્કાલીક તેમની સારવાર કરવામાં આવી હતી. બાદમાં તેઓ ભયમુકત હોવાનું હ્રદયરોગ નિષ્ણાતોએ જણાવ્યુ હતું.
આમ છતાં તકેદારીના પગલાં રૂપે તેમના પરિવારજનોએ રમેશભાઇને મુંબઇના હ્રદયરોગ નિષ્ણાત પાસે સેકન્ડ ઓપિનિયન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમને તાત્કાલી મુંબઇ લઇ જવાયા હતાં.મુંબઇની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત બિલકુલ ભયમુકત હોવાનું નિકટના સૂત્રોએ જણાવ્યુ છે. રમેશભાઇ ઉપર હ્રદયરોગનો હુમલો માઇનોર હોવાથી કોઇ ચિંતા ન હોવાનું સ્થાનિક તબીબે જણાવ્યુ છે.
જો કે, લગ્નપ્રસંગમાં ધારાસભ્ય ટિલાળાની તબિયત અસ્વસ્થ થતાં તેમના નિકટના વર્તુળોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. સમયસરની તાત્કાલીક હોસ્પીટલે લઇ જવામાં આવતાંહ્રદયરોગનો હુમલો વધુ તિવ્ર બને એ પૂર્વે જ સારવાર મળી ગઇ હતી. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ વગેરેએ રમેશભાઇ ટીલાળાની તબિયતની પૃચ્છા કરી હતી અને બેસ્ટમાં બેસ્ટ સારવાર મળે એ માટે મુંબઇ ખાતે તકેદારી રાખવા વ્યવસ્થા કરી હતી.