- વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનનું નિરાશાજનક પ્રદર્શન
- મોહમ્મદ આમીરે બાબર આઝમની આકરી ટીકા કરી
- પાકિસ્તાન ટીમની સિસ્ટમમાં કોઈ ખામી નથી- મોહમ્મદ આમિર
પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે વર્લ્ડકપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન બાબર આઝમની આકરી ટીકા કરી છે. મોહમ્મદ આમિરે બાબર આઝમ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો કેપ્ટનની માનસિકતા યોગ્ય નહીં હોય તો ટીમને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે.
ટીમની હાર માટે કેપ્ટનની માનસિક્તા જવાબદાર
પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. ટીમ ચાર મેચ જીતી અને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવવાની જરૂર હતી પરંતુ તે તેમ કરી શક્યું નહીં. આ ખરાબ પ્રદર્શન બાદ ટીમની ઘણી ટીકા થઈ રહી છે. પાકિસ્તાનને તેની છેલ્લી લીગ મેચમાં પણ ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ વર્લ્ડકપમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી. આ જ કારણ છે કે ટીમની ઘણી ટીકા થઈ રહી છે.
પાકિસ્તાન ટીમની સિસ્ટમમાં કોઈ ખામી નથી- મોહમ્મદ આમિર
મોહમ્મદ આમિરે આ હાર માટે કેપ્ટન બાબર આઝમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, પાંચથી છ લોકોને પાકિસ્તાન ક્રિકેટ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેપ્ટન પણ તેમાંથી એક છે. આપણે 1992 માં વર્લ્ડકપ જીત્યો હતો અને સિસ્ટમ સમાન હતી. 1999માં આપણી ટીમ વર્લ્ડ બીટર હતી અને આપણે ફાઇનલમાં પહોંચ્યા હતા. આપણે આ સિસ્ટમ હેઠળ 2009 T20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. બાબર આઝમ છેલ્લા ચાર વર્ષથી કેપ્ટન છે અને તેણે જ આ ટીમ બનાવી છે. જોસ બટલર આપણી સિસ્ટમનો ભાગ નથી, તો પછી ઈંગ્લેન્ડ આટલું ખરાબ કેમ રમ્યું? શું ઈંગ્લેન્ડમાં પણ સિસ્ટમ બદલવાની જરૂર છે?
સિસ્ટમમાં ફેરફારની જરૂર કેમ નથી
આમિરે ઈંગ્લેન્ડ અને જોસ બટલરનું ઉદાહરણ આપ્યું કે તેને સિસ્ટમમાં ફેરફારની જરૂર કેમ નથી. તેણે કહ્યું કે, વર્ડ કપ 2023માં ઈંગ્લિશ ટીમની સ્થિતિ પાકિસ્તાન કરતા વધુ નાજુક હતી. બટલરના નેતૃત્વમાં ટીમ ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમ સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. ફાસ્ટ બોલરે આગળ કહ્યું, ‘બાબર છેલ્લા ચાર વર્ષથી કેપ્ટન છે. તેણે પોતાની ઈચ્છા મુજબ પોતાની ટીમ પસંદ કરી છે. બટલર આપણી સિસ્ટમનો ભાગ નથી, તો પછી ઈંગ્લેન્ડ આટલું ખરાબ કેમ રમ્યું? શું ઈંગ્લેન્ડની વ્યવસ્થામાં પણ ફેરફારની જરૂર છે? તેણે આગળ મોર્ગનનું ઉદાહરણ આપ્યું. આમિરે કહ્યું, ‘2015માં હાર બાદ મોર્ગને પૂછ્યું કે મારે કઈ બ્રાન્ડની ક્રિકેટ રમવી છે. મારે આ 25 ખેલાડીઓ જોઈએ છે. સિસ્ટમ એ જ રહી, કેપ્ટને જ આખી માનસિકતા બદલી નાખી હતી. આમિર કહે છે, ‘જ્યાં સુધી કેપ્ટનની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી સિસ્ટમ કંઈ કરી શકે નહીં. શું તે સિસ્ટમ હતી જેણે તેમને અબરાર અહેમદને ન રમવા અથવા ફખરને પ્રથમ મેચ પછી બેંચ પર બેસાડવાનું કહ્યું હતું?


