કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન બનેલો બનાવ : સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સમગ્ર પંથકમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લા રાજકારણના એક અનુભવી અને સક્રિય ચહેરા એવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું 30 માર્ચે હાર્ટ એટેકના તીવ્ર હુમલાને કારણે નિધન થયું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પક્ષના કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તેમની તબિયત લથડી હતી.
ઘટનાની વિગત મુજબ, કિશોરભાઈ ચીખલીયા આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-3ના મહેન્દ્રનગર ગામે એક કાર્યકર્તાના ઘરે બેઠક માટે ગયા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવ્યો હતો.
તેમને તાત્કાલિક સામાકાંઠા વિસ્તારની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં સારવાર કારગત ન નીવડી અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોરબી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને સગા-સંબંધીઓની મોટી ભીડ ઉમટી પડી હતી.
કિશોરભાઈ ચીખલીયાનો રાજકીય ઈતિહાસ ઘણો લાંબો અને પ્રભાવશાળી રહ્યો છે. તેમણે પાયાના સ્તરેથી પક્ષમાં કામ કર્યું હતું. વર્ષ 2010માં જ્યારે મોરબી જિલ્લો અસ્તિત્વમાં નહોતો, ત્યારે તેઓ રાજકોટ જિલ્લા પંચાયતની માળિયા મીયાણા તાલુકાની સરવડ બેઠક પરથી પ્રથમ વખત વિજેતા બની રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા. વર્ષ 2015માં મોરબી અલગ જિલ્લો બન્યા બાદ, તેઓ ફરીથી સરવડ બેઠક પરથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે મોરબી જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે અને ત્યારબાદના અઢી વર્ષ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2024માં તેમની સક્રિયતા અને અનુભવને ધ્યાને રાખીને પક્ષ દ્વારા તેમને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કમાન સોંપવામાં આવી હતી.
કિશોરભાઈના નિધનથી કોંગ્રેસ પરિવારે એક નિષ્ઠાવાન અને સક્રિય નેતા ગુમાવ્યા છે. તેઓ સતત લોકોની વચ્ચે રહીને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરતા હતા. ખાસ કરીને આગામી ચૂંટણીઓમાં પક્ષને મજબૂત કરવા તેઓ રાત-દિવસ કાર્યરત હતા, ત્યારે તેમના અચાનક જવાથી સમગ્ર જિલ્લામાં અને રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે.


