મોરબીમાં ઝૂલતા પુલ નજીક શ્રીસ્વામિનારાયણ મંદિરનું બાંધકામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે ત્યારે મચ્છુ નદીના પટ્ટમાં નદીની પહોળાઈ ઘટતી હોય તેમજ નદીના પાણીનું જે વ્હેણ હોય તેમાં રૂકાવટ આવે તેમ એક વિશાળ ઊંચી દીવાલનું બાંધકામ મોરબી વકીલ મંડળના પ્રમુખ તેમજ અમુક સામાજિક કાર્યકરોના ધ્યાને આવતા જે બાબતે એક કમિટી બનાવી મોરબી જીલ્લા કલેકટરમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને જીલ્લા કલેકટર દ્વારા એક તપાસ કમિટીની રચના કરી હતી જેમાં મોરબી પ્રાંત અધિકારી, પાલિકા ચીફ ઓફિસર તેમજ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને સંયુક્તમાં સમગ્ર મામલે તપાસ કરી દિવસ પાંચમાં અહેવાલ સુપરત કરવા કડક સૂચના આપવામાં આવી હતી. હાલ તપાસ કમિટી દ્વારા અલગ અલગ અહેવાલો જીલ્લા કલેકટરને મોકલી આપેલ હોય જે મળેલ અહેવાલના આધારે હાલ તપાસની પ્રક્રિયા ચાલુ છે
મચ્છુ નદીમાં થઈ રહેલા દિવાલના બાંધકામ બાબતે બીએપીએસ સંસ્થા વતી સંપ્રદાયના હરિભક્ત અને બિલ્ડર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ભરતભાઇ બોપલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજી ખુલાસો આપ્યો હતો કે બીએપીએસ સંસ્થા હંમેશા માનવ કલ્યાણ તથા સમાજના લોકો માટે કામ કરતી સંસ્થા છે, મોરબીમાં ડેમ હોનારત તેમજ પુલ દુર્ઘટના જેવી આપદા સમયે પ્રમુખસ્વામી મહારાજ સહિતનાઓ એ તમામ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી વિકટ પરિસ્થિતિમાં મોરબિવસીઓ વ્હારે ખડેપગે રહ્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે બાંધકામ માટેની તમામ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ બાંધકામ ચાલુ કરેલ છે અને મંદિરની માલિકીની જગ્યા ઉપર જ કાયદેસરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાત થઈ રહી છે નદીના પટ્ટમાં આવેલ દીવાલ, જે દીવાલ પહેલેથી જ હોય સંસ્થા દ્વારા આ દીવાલ ઊંચી કરી તેમાં ચણતર કરવામાં આવ્યું છે. જ્યાં મોરબીવાસીઓ માટે ઘાટ અને બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દિવાલના બાંધકામ અંગે પ્રશાસન દ્વારા જે કહેવામાં આવશે તે મુજબ મળેલ સૂચનાનું પાલન કરવામાં આવશે
મોરબી વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા દ્વારા જણાવ્યું હતું કે મચ્છુ નદી પટ્ટમાં કરવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થા દ્વારા કરવામાં આવેલ ધાર્મિક બાંધકામનો કોઈ વિરોધ નથી પરંતુ જે રીતે નદીના પાણીનો વ્હેણના રૂકાવટ તેમજ નદીની પહોળાઈ ઘટાડી જે બાંધકામ કરવામાં આવ્યું ધ્યાને આવતા જેની મોરબી વહીવટીતંત્રમાં રજૂઆત કરવા ચાર સભ્યોની કમિટી બનાવી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેની તપાસ તથા માપણી કર્યા બાદ નદીના પટ્ટમા દીવાલનું ચણતર કરવામાં આવ્યું તે કાયદેસર નથી અને તે બાબતે નગરપાલિકા દ્વારા દિવસ ત્રીસમા દૂર કરવા નોટિસ આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
જ્યારે ઉપરોક્ત બાબતે તપાસ કમિટી દ્વારા સુપરત કરાયેલ અહેવાલની વિગતો આપતા મોરબી જીલ્લા કલેકટર કે.બી ઝવેરી દ્વારા જણાવવામાં આવ્યું કે મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દવારા થઈ રહેલ બાંધકામ બાબતે પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફીસર,મોરબી ડી.આઈ.એલ.આર, મોરબી સિંચાઇ વિભાગ કાર્યપાલક ઈજનેરના સંયુકત તપાસ કરી અહેવાલમાં જણાવવામાં આવ્યા મુજબ જેમાં મોરબી ડી.આઈ.એલ.આર.ના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય જેટલું બાંધકામ દૂર કરાવવાનું રહે છે. ચીફ ઓફીસરના રીપોર્ટ મુજબ સંસ્થા દવારા કરવામાં આવેલ બાંધકામમાં બાંધકામના નિયમો મુજબ વોટરબોડીઝ(નદી) થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ નગરપાલિકા દવારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવેલ છે. જે દિવસ ત્રીસમા સંસ્થાના સ્વખર્ચે દૂર કરવાનું રહેશે
વધુમાં કલેકટર દ્વારા જણાવાયું કે સંસ્થા દવારા જે રીતે પ્રેસ પરિષદમાં જણાવ્યા મુજબ પ્રશાસનની સુચનાનું પાલન કરવા અને લોકોને નડતરરૂપ ન થાય તેની તકેદારી સંસ્થા દવારા રાખવામાં આવશે તેવુ પણ જણાવેલ છે. મંદિર સત્તાવાળા / સંતો તરફથી મોરબી તંત્ર પાસે નહી પરંતુ મીડીયાને જણાવેલ છે કે પ્રશાસનની સાથે રહેશે અને સુચનાનું પાલન કરશે. જેથી હવે આ મામલે કોઈ વિવાદનો પ્રશ્ન રહેતો નથી. બીએપીએસ સંસ્થાનો કોઈ વિરોધ નથી કે પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ નથી કરી, બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે તે માટે સમજુત કરવામાં આવશે. હાલ તપાસ સમિતિ દ્વારા આપવામાં આવેલ અહેવાલની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે તેમજ જો આ બાંધકામ બાબતે નદીના પાણીના વ્હેણ કે કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન બને તે માટે પણ જરૂરી તકેદારી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.