મોરબી તથા ચોટીલાના ગૌરક્ષકોએ મળેલ બાતમીને આધારે બે બોલરો ગાડીમાં અતિ ક્રૂરતાપૂર્વક બાંધી રાજકોટ તથા જામનગર કતલખાને લઇ જવાતા કુલ ૬૭ ઘેટાને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે બંને બોલેરો કબ્જે લઈ બંને ગાડીના ચાલકો સહિત ચાર આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તથા ચોટીલા હિન્દુ યુવવહિની ગૌરક્ષકોએ બાતમી મળેલ કે કચ્છથી બે બોલેરો રજી.નં.જીજે-૧૨-બીવાય-૦૫૯૪ તથા રજી. જીજે-૧૨-બીવાય-૪૪૨૮માં અબોલ પશુઓને રાજકોટ તથા જામનગર કતલખાને લઇ જવામાં આવતા હોવાની ચોક્કસ હકીકત મળતા મોરબી તથા ચોટીલા હિન્દુ યુવાવાહિનીના ગૌરક્ષકો ટીંબડી પાટિયાથી આગળ રવિરાજ ચોકડી પાસે વોચમા હોય ત્યારે ઉપરોક્ત બંને બોલેરો ત્યાંથી પસાર થતા તેને રોકી બંને બોલેરોના ઠાઠામાં તલાસી લેતા કોઇ સક્ષમ અધિકારીઓની પાસ પરમીટ વગર રાત્રીના સમયે પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી તથા પાણી કે ઘાસચારાની સગવડ વગર ક્રુરતાપુર્વક નાના તથા મોટા મળી ઘેટાં જીવ નંગ-૬૭ ભરીને કતલખાને લઇ જવામાં આવતા હોવાનું જણાઇ આવતાં ઉપરોક્ત બંને બોલેરોને મોરબી તાલુકા પોલીસ મથકમાં લઇ જવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા જાંબાઝ ગૌરક્ષક જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા ઉવ.૨૮ની ફરિયાદને આધારે ઉપરોક્ત બંને બોલેરોના ચાલક સહિત ચાર આરોપી મુસ્તુફા જમનશા શેખ ઉવ.૨૫ રહે-ભુજ ઓકટ્રોચોકીબાજુમાં જી-કચ્છ-ભુજ, મહમદ સીદીક આશિમશા શેખ ઉવ.૨૬ રહે-ભુજ, ભીમાભાઈ વશરામભાઈ રબારી ઉવ.૬૦ રહે-જંગી ગામ તા-ભચાઉ જી-કચ્છ-ભુજ, અમીનશા મહમદશા શેખ ઉવ.૨૧ રહે-શિકારપુર તા-ભચાઉ જી-કચ્છ-ભુજની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે નાના મોટા ૬૭ ઘેટા કિ.રૂા.૨,૦૧,૦૦૦/- તથા બે બોલેરો કુલ કિ.રૂા.૮,૦૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે લઈ ચારેય આરોપીઓ સામે પશુ પ્રત્યે ઘાતકીપણા એક્ટ-૧૯૬૦ ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.