- યાત્રાધામમાં નવા વર્ષથી લાભપાંચમ સુધીના દિવસોમાં રાજ્યભરમાંથી શ્રાદ્ધાળુઓ ઊમટી પડયા
- નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાવાયો, હજારો શ્રાદ્ધાળુઓએ દર્શન કરી
- ખાનગી વાહનોનો સતત ધસારો રહેતાં નેશનલ હાઈવેની બંને બાજુએ
બેસતા વર્ષથી લાભ પાંચમ સુધીના સમયગાળામાં યાત્રાધામોમાં મેદની જોવા મળી હતી. અરવલ્લીમાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ નવા વર્ષના દિવસથી લાભ પાંચમ સુધી શ્રાદ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. પાંચ દિવસના સમયગાળામાં શામળાજી વિષ્ણુ મંદિરે અઢી લાખથી વધુ શ્રાધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાળુઓના ધસારાને કારણે શામળાજી તરફના માર્ગો ઉપર વાહનોનો સતત ધસારો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન શામળાજી શ્રાદ્ધાળુઓથી ઉભરાતાં વેપારીઓને તડાકો રહ્યો હતો.
અરવલ્લીમાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી દિવાળીના તહેવારો દરમિયાન શ્રાધ્ધાળુઓથી ઉભરાયેલુ રહ્યુ હતુ. દિવાળી અને પડતર દિવસે પણ મોટી સંખ્યામાં શ્રાધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડયા હતા. જો કે બેસતા વર્ષના દિવસથી લાભ પાંચમ સુધી પાંચ દિવસ સુધી શામળાજીમાં શ્રાદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. અરવલ્લી,સાબરકાંઠા ઉપરાત અમદાવાદ,વડોદરા,સુરત સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શામળાજી પહોંચ્યા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં અનેક પ્રકારની વાનગીઓ અને ફરસાણ ધરાવાતા લોકોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધીમાં શામળાજી મંદિરમાં અઢી લાખથી વધુ શ્રાધ્ધાળુઓ ઉમટી પડતાં બજારો અને માર્ગો ઉભરાયા હતા.
ખાનગી વાહનો લઈને રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકો શામળાજી પહોંચતાં નેશનલ હાઈવે ઉપર બંને બાજુ વાહનોનો ખડકલો રહ્યો હતો. જેના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહેતાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પુરો પાડવામાં આવ્યો હતો. યાત્રાળુઓના ધસારાને કારણે આ વિસ્તારમાં વેપાર-ધંધો કરતા વેપારીઓને તડાકો પડી ગયો હતો. જ્યારે શામળાજી આસપાસની હોટલો હાઉસફુલ રહી હતી. હાઈવે ઉપર પણ સતત વાહનોની દોડાદોડી રહી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક શ્રાધ્ધાળુઓ પણ કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડયા હતા.
તો બીજીતરફ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનના વિવિધ સ્થળે પ્રવાસ કરતા હોય છે. રતનપુર બોર્ડરથી રાજસ્થાન જતા પ્રવાસીઓ શામળાજી દર્શન કરીને આગળ વધતા હોય તહેવારો દરમિયાન શામળાજીમાં લોકોને ધસારો વધ્યો હતો. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ઉપર પણ વાહનોની દોડાદોડમાં વધારો જોવા મળ્યો હતો.


