મુંબઈના નાગપાડામાં આજે 9 માર્ચને રવિવારે એક મોટી દુર્ઘટના બની છે. એક નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરવા માટે અંદર ઉતરેલા 5 કામદારોના શ્વાસ રૂંધાવાના કારણે મોત થયા છે. જ્યારે ટાંકીની અંદર સફાઈ કરી રહેલા કામદારોને અસ્વસ્થતા અનુભવવા લાગી, ત્યારે ફાયર બ્રિગેડની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા મજૂરોને ગૂંગળામણને કારણે બેચેની લાગવા લાગી
આ ઘટના મુંબઈના નાગપાડામાં બની હતી, જ્યાં નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરતી વખતે 5 મજૂરોની હાલત કથળી ગઈ હતી અને ગૂંગળામણને કારણે તેમને બેચેની લાગવા લાગી અને અચાનક તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તાત્કાલિક બધા કામદારોને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ડોક્ટરોએ બેભાન કામદારોની તપાસ કરી અને પછી તેમને મૃત જાહેર કર્યા છે.
મુંબઈમાં આ ઘટના બાદ હોબાળો મચી ગયો
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે પાંચેય મજૂરો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. રાજ્યની રાજધાની મુંબઈમાં આ ઘટના બાદ હોબાળો મચી ગયો છે. આ કામદારોની હજુ સુધી ઓળખ થઈ નથી. જોકે, શરૂઆતમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે આ કામદારોના મોત થયા હશે. ઘટનાની પુષ્ટિ કરતા પોલીસે જણાવ્યું હતું કે મુંબઈના નાગપાડા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરતી વખતે 5 કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે.