ભારત દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવે છે જેથી આપણા બંધારણની રચના અને તેને બનાવનારા નેતાઓના યોગદાનને માન આપી શકાય. બંધારણ દિવસને “સંવિધાન દિવસ” પણ કહેવામાં આવે છે. 26 નવેમ્બર એ દિવસ છે જ્યારે ભારતે સત્તાવાર રીતે તેનું બંધારણ અપનાવ્યું હતું.
આજે સંવિધાન દિવસ
આ દિવસ ભારતનું વસાહતી કાનૂની વ્યવસ્થાથી તેની પોતાની શાસન વ્યવસ્થામાં સંક્રમણ દર્શાવે છે. તે લોકશાહી, ન્યાય અને કાયદાના શાસન પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને નાગરિકોને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને સ્વીકારવા પ્રેરણા આપે છે. ત્યારે સંવિધાન દિવસને લઇને પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજોએ શું કહ્યું આવો જાણીએ.
પીએમ મોદીએ શું કહ્યું ?
પીએમ મોદીએ બંધારણ દિવસ પર ટ્વિટ કરતા જણાવ્યું કે આપણે આપણા બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમની દૂરંદેશી વિચાર આપણને વિકસિત ભારત બનાવવાના આપણા પ્રયાસોમાં પ્રેરણા આપે છે. આપણું બંધારણ માનવ ગૌરવ, સમાનતા અને સ્વતંત્રતાને સર્વોચ્ચ મૂલ્ય આપે છે. જ્યારે તે આપણને અધિકારો આપે છે, ત્યારે તે આપણને નાગરિક તરીકેની આપણી જવાબદારીઓની પણ યાદ અપાવે છે, જેને પૂર્ણ કરવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ જવાબદારીઓ મજબૂત લોકશાહીનો પાયો છે. ચાલો આપણે આપણા કાર્યો દ્વારા બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ.
અમિત શાહે શું કહ્યું ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણ દિવસની 76મી વર્ષગાંઠ પર તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘સંવિધાન દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ જીવન, રાષ્ટ્રીય ફરજો અને અધિકારોની ખાતરી આપે છે, જે મજબૂત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સંવિધાન દિવસ’ શરૂ કર્યો અને નાગરિકોમાં લોકશાહી મૂલ્યો વિશે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે.”
રાજનાથ સિંહે શું કહ્યું ?
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે બંધારણ દિવસ પર દરેક ભારતીયને હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ આપણને આપણા પ્રજાસત્તાકનો પાયો નાખનારા અને આપણી રાષ્ટ્રીય યાત્રાને માર્ગદર્શન આપતા મૂલ્યો સોંપનારા સ્વપ્નદ્રષ્ટાઓની યાદ અપાવે છે. ચાલો આપણે ન્યાય અને સમાનતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરીએ અને બાબાસાહેબ આંબેડકર દ્વારા કલ્પના કરાયેલ ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ.
યોગી આદિત્યનાથે શું કહ્યું ?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું સંવિધાન દિવસ પર રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ન્યાય, સમાનતા અને બંધુત્વ એ ભારતીય બંધારણની મૂળભૂત ભાવના છે. ‘ભારત રત્ન’ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના અસાધારણ દ્રષ્ટિકોણ, તેજસ્વી વિચારો અને અથાક પ્રયાસો દ્વારા રચાયેલ આપણું બંધારણ વિશ્વના સૌથી શક્તિશાળી લોકશાહી મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. બંધારણ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિનો પાયો હોવા ઉપરાંત, દરેક નાગરિકને સમાન અધિકારો, આદર અને તકોની પણ ખાતરી આપે છે.”
આ પણ વાંચો-PM Modiએ ગુરુ તેગ બહાદુરને કર્યુ નમન..જુઓ કુરુક્ષેત્રમાં પીએમ મોદીનો અનોખો અંદાજ


