સરકારની ઢીલાઈ સામે બેંક કર્મચારીઓ આક્રમક
27 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાળ : ત્રણ દિવસ બેંકો બંધ
રવિવાર–ગણતંત્ર દિવસ બાદ 27મીની હડતાળ,પાંચ દિવસના સપ્તાહની માંગને લઈ આંદોલન : ચેક–કેશ–લોન કામગીરી રહેશે પ્રભાવિત
અગ્ર ગુજરાત, રાજકોટ
બેંક કર્મચારીઓ અને અધિકારીઓ માટે પાંચ દિવસના સપ્તાહનો અમલ હજુ સુધી ન થવાને કારણે બેંક યુનિયનો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતરી છે. આગામી 27 જાન્યુઆરીએ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવતા હવે બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. 25 જાન્યુઆરીએ રવિવાર અને 26 જાન્યુઆરીએ ગણતંત્ર પર્વની જાહેર રજા હોવાથી ગ્રાહકોને સતત ત્રણ દિવસ બેંકિંગ સેવાઓથી વંચિત રહેવું પડી શકે છે.
બેંક અધિકારીઓના અગ્રણી સંગઠન All India Bank Officers Confederation દ્વારા આ હડતાળનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. સંગઠનનો આરોપ છે કે માર્ચ 2024માં વેતન પંચની ચર્ચા દરમિયાન Indian Banks’ Association તથા કર્મચારી સંગઠનો વચ્ચે પાંચ દિવસના સપ્તાહનો અમલ કરવા અંગે સ્પષ્ટ સમજુતી થઈ હતી, છતાં આજે સુધી તેનો અમલ કરાયો નથી.
યુનિયનના જણાવ્યા મુજબ પાંચ દિવસના સપ્તાહના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી કામના કલાકોમાં દરરોજ 40 મિનિટનો વધારો કરવાની સંમતિ પહેલેથી જ આપવામાં આવી છે. એટલે કામના કલાકો ઘટશે કે ઉત્પાદનક્ષમતા પર અસર પડશે તેવી દલીલ આધારવિહોણી છે. સરકારી કચેરીઓમાં વર્ષોથી પાંચ દિવસનું સપ્તાહ અમલમાં છે, ત્યારે બેંકિંગ ક્ષેત્રમાં હજુ વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે તે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.
બેંક સંગઠનોએ છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં દેખાવો, ધરણાં અને સોશિયલ મીડિયા પર ટ્વિટ ઝુંબેશ પણ ચલાવી હતી, જેને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં સરકાર તરફથી સ્પષ્ટ નિર્ણય કે અમલ અંગે કોઈ ઠોસ પગલું લેવામાં ન આવતાં હવે હડતાળનું હથિયાર ઉઠાવવું પડ્યું હોવાનું યુનિયનનું કહેવું છે.
27 જાન્યુઆરીની હડતાળથી ચેક ક્લિયરિંગ, રોકડ ઉપાડ-જમા, લોન સંબંધિત કામગીરી, ડ્રાફ્ટ અને અન્ય રૂટીન બેંકિંગ સેવાઓ પર સીધી અસર થવાની સંભાવના છે. ખાસ કરીને વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને પગારદાર વર્ગને ભારે મુશ્કેલી પડી શકે છે. ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે, પરંતુ શાખા આધારિત સેવાઓ સંપૂર્ણ રીતે ઠપ્પ થવાની શક્યતા છે.
યુનિયનોનું કહેવું છે કે જો આ હડતાળ બાદ પણ પાંચ દિવસના સપ્તાહ અંગે નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. બીજી તરફ, બેંક ગ્રાહકોને આગોતરી તૈયારી રાખવા, જરૂરી લેવડદેવડ વહેલી તકે પૂર્ણ કરવા અને ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી રહી છે.
ત્રણ દિવસ બેંકો કેમ બંધ રહેશે?
25 જાન્યુઆરી : રવિવાર (સાપ્તાહિક રજા)
26 જાન્યુઆરી : ગણતંત્ર પર્વ (જાહેર રજા)
27 જાન્યુઆરી : બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, પરિણામે બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહે તેવી સ્થિતિ
હડતાળ પાછળ મુખ્ય માંગ શું છે?
બેંકોમાં પાંચ દિવસના સપ્તાહનો અમલ,કામના કલાકોમાં 40 મિનિટ વધારાની પહેલેથી સંમતિ,
સરકારી કચેરીઓ સમકક્ષ નીતિ લાગુ કરવાની માંગ, IBA દ્વારા ભલામણ બાદ પણ સરકાર દ્વારા વિલંબનો વિરોધ, બેંક યુનિયનો અને સરકાર વચ્ચે વહેલી તકે સમાધાન ન થાય તો આવનારા દિવસોમાં બેંકિંગ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા નકારી શકાતી નથી.


