આદ્યશક્તિની ઉપાસનાની સાથે સાથે આસુરી વૃત્તિઓ ડામીને દૈવીશક્તિનો સંચાર કરવાનો ઉત્તમ અવસર છે નવરાત્રિ. ચૈત્રી નવરાત્રિ ઉપાસના માટે જ્યારે આસો નવરાત્રિ હર્ષોલ્લાસભરી ઉજવણી માટે પ્રચલિત છે. નવરાત્રિની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબાની પ્રેક્ટિસની સાથે આ નવ દિવસ લાંબા ચાલતા પર્વના ધાર્મિક માહાત્મ્ય અને સામાજિક પરંપરાઓની ઝાંખી મેળવી લઈએ.
નવરાત્રિ એ અધર્મ અને આસુરી શક્તિ પર વિજય મળ્યો તેની ઉજવણી છે. મહિષાસુર નામનો રાક્ષસ મનુષ્યો અને દેવતાઓને ખૂબ જ કનડતો હતો, કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાઓનું બધું છીનવી લીધું. નિ:સહાય અને ભયભીત બનેલા દેવતાઓ ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. દેવતાઓની આપવીતી જાણીને ત્રિદેવ મહિષાસુર પર કોપાયમાન થયા અને પોતાના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ કર્યું. દેવતાઓએ પોતાનાં શસ્ત્રો અને શક્તિઓ તે દેવીને અર્પણ કર્યાં. આ રીતે આ દેવી મહાશક્તિ પ્રગટ થયાં. તેમણે મહિષાસુર સાથે નવ દિવસ યુદ્ધ કરીને તેને હણ્યો. આ ઘટના થકી આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. મહિષાસુરના વધ બાદ મનુષ્યો અને દેવતાઓ નિર્ભય બન્યા. ત્યારથી આ નવ દિવસ દરમિયાન મહાશક્તિની આરાધના કરવાનો સિલસિલો શરૂ થયો. જોકે, નવરાત્રિની ઉજવણી પાછળ એવું માનવામાં આવે છે કે રાવણ સામે યુદ્ધ કરવા ગયા તે પહેલાં શ્રીરામે શક્તિની આરાધના કરી હતી અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો ત્યારથી આ તહેવાર ઊજવાય છે.
શક્તિની આરાધના ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, તેથી જ તો ઋષિ વિશ્વામિત્રે પણ શક્તિ મેળવવા માટે તપ કર્યું હતું અને ઈન્દ્રએ જેના સ્વર્ગમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી હતી તેવા રાજા ત્રિશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવા માટે શક્તિ મેળવી હતી.
આપણા ઋષિ-મુનિઓ પણ સતત તપમાં લીન રહેતા હતા. ત્રિદેવ પણ હંમેશાં ધ્યાનમાં મગ્ન રહેતા હતા. વાસ્તવમાં આ બધા જ દૈવી શક્તિ મેળવવા માટે શક્તિની આરાધનામાં લીન રહેતા હતા.
માતા શક્તિની એકાવન શક્તિપીઠ આવેલી છે. તંત્ર ચૂડામણિ ગ્રંથમાં એકાવન શક્તિપીઠની વિગત છે. જેમાં જ્વાલામુખી, કામાખ્યા, ત્રિપુરસુંદરી, વારાહી, કાલી, અંબિકા, ભ્રામરી, લલિતા વગેરેનો સમાવેશ થાય છે. એકાવન શક્તિપીઠ પાછળની કથા ખૂબ જ પ્રચલિત છે, જે અનુસાર માતા સતીના શરીરના ટુકડાઓ જે જગ્યાએ પડ્યા તે જગ્યાએ શક્તિપીઠ બની છે. 51 શક્તિપીઠમાં અંબાજીનું વિશેષ મહત્ત્વ છે, કેમ કે સતીના હૃદયનો પાત જ્યાં થયો હતો તે અંબાજી છે. આ સ્થાન અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું છે.
ગુજરાતના લોકપ્રિય ગરબા
આસો નવરાત્રિમાં સમગ્ર ગુજરાતમાં રાસ-ગરબા રમવામાં આવે છે. ડીજે અને ઓર્કેસ્ટ્રાના તાલ પર ક્લબ અને પાર્ટીપ્લોટમાં રમાતા ગરબાના આ કલ્ચરમાં પણ પારંપરિક અને શેરી ગરબાનું મહત્ત્વ ઓસર્યું નથી. કેટલીક જગ્યાએ ગરબાના નામે આધુનિક ડાન્સ કરવામાં આવે છે, તો કેટલાંક સ્થાને એક તાળી, બે તાળી, ત્રણ તાળી, દોઢિયું, પોપટિયું, હીંચ, ટીપણી, સનેડો એમ પારંપરિક રીતે ગવાતા ગરબા પણ જોવા મળે છે. ગુજરાતમાં ગવાતા ગરબાનો ઉત્સવ નવરાત્રિ એટલો તો લોકપ્રિય બન્યો છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ધીરે-ધીરે સમગ્ર ભારતમાં પણ તેની ઉજવણી થાય છે. નવરાત્રિની ઉજવણી આસો સુદ એકમથી લઈને દશેરા સુધી કરવામાં આવે છે.
દુર્ગાપૂજા
ગુજરાતની નવરાત્રિની જેમ જ બંગાળમાં પણ શક્તિપૂજાનું વિશેષ મહત્ત્વ છે. ગુજરાતમાં ગરબા રમવામાં આવે છે જ્યારે બંગાળમાં મોટા મંડપ બનાવવામાં આવે છે. તેમાં મહિષાસુરમર્દિની માતા દુર્ગા, દેવી સરસ્વતી, પદ્મહસ્તા લક્ષ્મી, ગણેશ અને કાર્તિકેય બિરાજમાન હોય છે. આ બધી જ મૂર્તિઓ જ્ઞાનનું પ્રતીક છે. લક્ષ્મીજી ધન, સરસ્વતી વિદ્યાની, ગણેશજી વિઘ્નોનો વિનાશ કરનારા દેવ અને કાર્તિકેય જીવનમાં વિનયનાં પ્રતીક છે. મહિષાસુર અધર્મ, અન્યાય અને અત્યાચારનું પ્રતીક છે. જ્યારે દુર્ગા અધર્મનો પ્રતિકાર કરનારાં શક્તિ અને ન્યાયનાં પ્રતીક છે. બંગાળમાં દુર્ગાપૂજાની શરૂઆત અંગે અનેક મતમતાંતરો છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1853ની સાલમાં તાહિરપુરના મહારાજા કંસનારાયણે દુર્ગાપૂજાના ઇતિહાસની પ્રથમ વિશાળ પૂજા કરી હતી. આજે બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દુર્ગાપૂજાના પંડાલો બનાવવામાં આવે છે.
મહોલ્લા માતા કી જય
નવરાત્રિમાં ઉપાસકો અને ખૈલેયાઓ જેટલો જ ઉત્સાહ નાનાં-નાનાં ટાબરિયાંઓમાં પણ જોવા મળતો હોય છે. નવરાત્રિ શરૂ થવાના બે-ત્રણ દિવસ પહેલાં જ શેરી-મહોલ્લા-સોસાયટીનાં બાળકો મહોલ્લા માતા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. ગબ્બર પર્વતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. શેરીએ શેરીએ ગબ્બર બનતા હોઈ પોતાનો ગબ્બર બધા કરતાં અલગ લાગે તે માટે બાળકો પોતાની કોઠાસૂઝને કામે લગાડી દે છે અને તેના પરિણામ સ્વરૂપ ઈજનેરી કળાના ઉત્કૃષ્ટ નમૂના સમાન ગબ્બર તૈયાર થાય છે. જેમાં પગથિયામાંથી લઈને રોપ-વે અને ઝાડથી લઈને ઝરણું તૈયાર કરવામાં આવે છે. ગબ્બરની જગ્યાને શણગારીને નવરાત્રિના પ્રથમ દિવસે સારા મુહૂર્તમાં મહોલ્લા માતા(અંબાજી)ની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. બાળકો ભક્તિપૂર્વક નવ દિવસ માતાજીની આરતી-થાળ કરે છે અને બધા જ મિત્રો ભેગા મળીને ત્યાં ગરબા પણ રમે છે.
નવરાત્રિનો આધુનિક સંદર્ભ
નવરાત્રિ એ ચોમાસા પછી આવતો તહેવાર છે. પ્રાચીન ખેતીપ્રધાન ભારતમાં આ સમયગાળા દરમિયાન ખેતરની ઊપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતીક તરીકે દેવીનું અનુષ્ઠાન કરીને તેનાં ચરણોમાં ખેતઊપજ ધરવાની પ્રથા હતી.
ગરબે ઘૂમવા માટે ગોળાકાર જ પસંદ થાય છે. તેની પાછળ પણ ખગોળશાસ્ત્રીય કારણો રહેલાં છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે. સમગ્ર સૂર્યમાળા પૃથ્વીની ફરતે ગોળ ફરે છે. સૂર્ય અને સૂર્યમાળા સહિતનું સમગ્ર બ્રહ્માંડ ગોળ ધૂમે છે. ગોળાકારમાં ગતિથી ચોક્કસ ઊર્જા ઉત્પન્ન થાય છે. એ ઊર્જાશક્તિ ગોળાકારમાં જ સંગ્રહાયેલી રહે છે. માટે જ નવરાત્રિનું પર્વ શક્તિની ભક્તિના પર્વ તરીકે ઓળખાય છે.
માટીના ગરબાનો ગોળ આકાર, તેનાં છિદ્રો અને અંદર મૂકવામાં આવતો દીવડો એ જીવનનું પ્રતીક છે. ગરબો એ માનવખોળિયાને મળેલી ઉપમા છે અને તેની અંદરનો ઉજાસ એ આત્મા છે.
બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો નવ, પ્રજાને ઉત્પન્ન કરનારા નવ મનુઓ, નવ રત્નો, નવ નિધિઓ, નવ દીપો, નવ નાગ, નવ નાડીઓ અને જીવનના નવ રસ. આ બધામાં નવના અંકનું વિશેષ મહત્ત્વ છે, તેથી નવના આંકને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા માનવામાં આવે છે. આવાં જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રિમાં આદ્યશક્તિનાં નવ સ્વરૂપોની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.
સંકટ દૂર કરતા વિવિધ પાઠ
નવરાત્રિમાં માતા અંબિકાના પૂજન-અર્ચનનું વિશેષ મહત્ત્વ છે. આ નવ દિવસમાં દુર્ગા સપ્તશતી, શ્રી સૂક્ત અને ચંડીપાઠ કરવામાં આવે છે. તેનાથી મા દુર્ગાની કૃપા અને આશીર્વાદ મળે છે. ચંડીપાઠમાં માર્કેંડેય મુનિ માતાજીને કહે છે, `હે મા દુર્ગા! દુર્ગાસિ દુર્ગ ભવસાગર નૌરસંગા’ અર્થાત્ આપ તો ભવસાગર પાર કરાવનારી `અસંગ’ રૂપી નાવ છો, જે ભક્ત તમારી ભક્તિરૂપી નાવમાં બેસી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે. જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના માટે ચંડીપાઠમાં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. શ્રી સિદ્ધ કુંજીકા સ્તોત્ર કે જે ભગવાન શિવજીએ માતા પાર્વતીજીને કહ્યો હતો. શ્રી સિદ્ધ કુંજીકા સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા જેટલું જ ફળ મળે છે.
ઘટસ્થાપન
શારદીય નવરાત્રિ એ હિંદુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે મા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા-અર્ચના માટે સમર્પિત છે. આ તહેવારનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ ઘટસ્થાપન છે, જેને કલશ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત આ વિધિથી જ થાય છે. આ વિધિને નવરાત્રિનો મુખ્ય પાયો માનવામાં આવે છે.
ઘટસ્થાપનનું મહત્ત્વ : ઘટસ્થાપન એ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર કલશમાં સપ્તસાગર, સપ્તદ્વીપ અને તમામ તીર્થોનો નિવાસ માનવામાં આવે છે. આ કલશમાં મા દુર્ગા સ્વયં નિવાસ કરે છે. માટીના પાત્રમાં જવ વાવવામાં આવે છે, જે સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. જવ જેટલા સારા ઊગે, તેટલી જ પ્રગતિ થાય તેવી માન્યતા છે. આ કલશની સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
ઘટસ્થાપનની વિધિ : ઘટસ્થાપન માટેનું શુભ મુહૂર્ત સૂર્યોદય પછીનો સમય હોય છે. આ વિધિને કરવા માટે નીચે મુજબની સામગ્રી અને ક્રિયાઓ જરૂરી છે:
સામગ્રી: એક માટીનો કળશ, લાલ કપડું, શ્રીફળ, આંબાનાં પાન, સોપારી, સિક્કા, ચોખા, માટીનું પાત્ર, સાત પ્રકારનાં અનાજ (જવ, ઘઉં વગેરે) અને મા દુર્ગાની મૂર્તિ.
વિધિ: સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજાના સ્થાનને સાફ કરીને ગંગાજળથી પવિત્ર કરો. જમીન પર સ્વચ્છ કપડું પાથરી તેના પર માટીનું પાત્ર મૂકો અને તેમાં સાત પ્રકારનાં અનાજ વાવો. ત્યારબાદ કલશને પાણી, ગંગાજળ, સિક્કા, સોપારી અને ચોખાથી ભરી તેના મુખ પર આંબાનાં પાન અને શ્રીફળ મૂકો. કલશ પર લાલ કપડું બાંધો અને તેને અનાજ વાવેલા પાત્રની ઉપર મૂકો. આસપાસ દીવો અને ધૂપ પ્રગટાવો. અંતમાં મંત્રજાપ દ્વારા મા દુર્ગાનું આહવાન કરો અને નવરાત્રિના નવ દિવસ માટે પૂજા-અર્ચના શરૂ કરો.


