- 15 અને 16 ઓક્ટોબરે અમદાવાદ સહિત ઉ.ગુજરાતમાં વરસાદ
- સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગમાં વરસાદની શક્યતા
- હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં વરસાદે લગભગ વિદાય લઈ લીધી છે ત્યારે પણ હવે નવરાત્રીમાં વરસાદ ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે. અમદાવાદમાં પહેલા અને બીજા નોરતે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ બાદ એટલે કે 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. જેના કારણે 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. સાથે જ અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે જ અમદાવાદમાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ માટે રાહતના સમાચાર છે. કેમકે ક્રિકેટ મેચના દિવસે વરસાદની શક્યતા નહીંવત રહેશે પરંતુ ખૈલેયાઓની ચિંતામાં વધારો થયો છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેનાા લીધે 15થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ત્યારે નવરાત્રી શરૂ થઇ ગઇ હશે. જેના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડવાની શક્યતાઓ છે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. જેમાં 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.
જ્યારે આની સાથે જ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોને મોટી મુશ્કેલીનો ફરી એકવાર સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે, ધીમે-ધીમે શિયાળાની શરુઆત થઇ જશે અને શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. જેના કારણે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અથવા તો કરા પડતા હોય છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. પરંતુ હાલ તો દક્ષિણ પશ્ચિમના પવન આવી રહ્યા છે.