પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ડો.પ્રશાંત કોરાટે લીધી
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. મહામંત્રીઓ, ઉપ-પ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે આજે 31 ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચારેય મહામંત્રીને વિવિધ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખથી લઈને મહામંત્રીની જવાબદારી નિભાવનાર પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ગુજરાત ભાજપ સંગઠનમાં ડો. પ્રશાંત કોરાટને આપવામાં આવી છે. ગાંધીનગર કમલમના એટલે કે મુખ્યમથકના પ્રભારી તરીકે ડો. પ્રશાંત કોરાટને જવાબદારી આપવામાં આવી છે સાથે જ્યાંથી સૌથી ઓછા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એવા દક્ષિણ ગુજરાતની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે ચારે મહામંત્રીને વિવિધ ઝોનના પ્રભારી અને મુખ્ય મથકના એટલે કે કમલમના પ્રભારી તરીકેની જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે. સિનિયર અને અનુભવી મહામંત્રી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ગાંધીનગરના કમલમ એટલે કે હેડ ક્વાર્ટર ની મહત્વની જવાબદારી ડો. પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે. મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી આપવામાં આવી છે.
ચારેય મહામંત્રીઓને જે રીતે ઝોનની ફાળવણી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા એવા પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી પદ આપવામાં આવ્યું હતું તેમ હવે યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા ડો. પ્રશાંત કોરાટને પણ આ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા ગાંધીનગર કમલમ ખાતેના પ્રભારી હતા ત્યારે હવે ડો. પ્રશાંત કોરાટને પણ પ્રભારી બનાવવામાં આવતા હજી પણ દબદબો યથાવત હોવાની ચર્ચા જાગી છે.
સંગઠનને મજબૂત કરવા ઝોનની વહેંચણી કરવામાં આવી
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ઝોનની વહેંચણી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સંગઠનને વધુ મજબૂત કરવા અનુભવી અને સિનિયર નેતા એવા અનિરુદ્ધ દવેને મૂકવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ક્યાંકને ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે ત્યારે ભાજપના સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા તેઓને મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યુવા નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ખરી કસોટી હવે તેમની શરૂ થશે જ્યારે પાટીદારો અને ચૌધરી સમાજ સૌથી વધારે જ્યાં વસે છે એવા ઉત્તર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અજય બ્રહ્મભટ્ટને કમર કસવી પડશે.


