ચોથી જાગીરને બદનામ કરતો કાળો કારોબાર બહાર
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
‘ખબર રાજકોટ ની’ માધ્યમના સંચાલક અને તેની સાથે જોડાયેલા લોકો સામે ફરિયાદોની ભરમાર ઊઠ્યા બાદ પોલીસ હરકતમાં ; ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીથી માહોલ ગરમાયો
ડોક્ટરના બ્લેકમેલિંગ કાંડમાં ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર સહિત 12 કથિત પત્રકારો સામે કાર્યવાહી બાદ પોલીસની બીજી કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના લોકશાહી માળખામાં મીડિયાને ચોથી જાગીર તરીકે ઓળખ આપવામાં આવી છે. સમાજના પ્રશ્નોને અવાજ આપવો, સત્તાને સવાલ કરવો અને નાગરિકોને સચોટ માહિતી પહોંચાડવી, આ બધું મીડિયા જગતનું પવિત્ર કાર્ય ગણાય છે. પરંતુ રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કથિત પત્રકારોની એક ટોળકી દ્વારા આ પવિત્ર વ્યવસાયને જ કલંકિત કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા મીડિયા જગત પર સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, આ ટોળકી નામી-અનામી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી, તેમની સામે બિનઆધારભૂત સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી નાણાં ઉઘરાવવાના કારસામાં લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. સામ-દામ-દંડ-ભેદ જેવી નીતિ અપનાવી લોકોમાં ભય પેદા કરી બ્લેકમેઇલિંગ કરવામાં આવતું હોવાના આક્ષેપોએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
ખાસ કરીને બિલ્ડર લોબી આ ટોળકીના નિશાને હોવાની ચર્ચા છે. શહેરના અનેક પ્રતિષ્ઠિત બિલ્ડરોને અવારનવાર નિશાન બનાવી તેમના પ્રોજેક્ટ અંગે ખોટી કે અર્ધસત્ય માહિતી પ્રસારિત કરવાની ધમકી આપીને નાણાં પડાવવાના પ્રયાસો થયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડિંગ પ્રોજેક્ટમાં નાના મોટા મુદ્દાઓને ઉછાળી સમાચારના નામે દબાણ બનાવવામાં આવતું હતું.
આ સમગ્ર પ્રકરણમાં પખવાડિક અખબાર “ખબર રાજકોટની”નું નામ મુખ્યરૂપે સામે આવ્યું છે. તાજેતરમાં આ અખબાર દ્વારા એક પ્રતિષ્ઠિત બિલ્ડરને ટાર્ગેટ કરીને કોઈપણ પૂરતી તપાસ કર્યા વગર ન્યૂઝ પ્લેટ વાયરલ કરવામાં આવી હતી. આ ન્યૂઝને રોકવા માટે નાણાંની માંગણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. આ બનાવ બાદ બિલ્ડર વર્ગમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે આ બિલ્ડરે પોતાની રીતે તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે માત્ર એક-બે નહીં પરંતુ અનેક બિલ્ડરો આવા કથિત પત્રકારોના શિકાર બની ચૂક્યા છે. કેટલાક વિકલી, પખવાડીક અને મંથલી પ્રકાશનો ચલાવતા લોકો દ્વારા સિલસિલાબંધ રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું.
આથી અકળાયેલા બિલ્ડરોએ એકજૂથ થઈ પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે ડીસીપી ક્રાઈમને લેખિતમાં રજૂઆત કરી અને “ખબર રાજકોટની” સાથે સંકળાયેલા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રજૂઆતમાં ખાસ કરીને કેટલાક નામો સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. જ્યારે આ મુદ્દો સામે આવ્યો અને અગ્ર ગુજરાત દ્વારા તેને વાચા આપવામાં આવી, ત્યારબાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. ડીસીપી ક્રાઈમ સુધી આવી ફરિયાદોની સંખ્યા વધતી જતા મામલો ગંભીર હોવાનું સ્પષ્ટ બન્યું હતું. અનેક લોકો દ્વારા એકસરખી રીતથી બ્લેકમેઇલિંગના આક્ષેપો કરાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ કાર્યવાહીનો પ્રથમ તબક્કો ત્યારે જોવા મળ્યો જ્યારે એક નામી ડોક્ટરને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. આ કેસમાં ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર સહિત કથિત પત્રકારોની ટોળકી દ્વારા સ્પાઈ કેમેરાથી બનાવવામાં આવેલી વીડિયો ક્લિપ થકી દબાણ કરવાનો પ્રયાસ થયો હતો. પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરીને બ્લેકમેલિંગ કાંડમાં સંકળાયેલા લોકો સામે પગલાં લેવાયા હતા.
આ ઘટનાએ આખા નેટવર્ક પર પ્રકાશ પાડ્યો ત્યારબાદ તપાસનો દોર વધુ ગાઢ બન્યો અને “ખબર રાજકોટની” સાથે સંકળાયેલા સંચાલકો સામે પણ અનેક ફરિયાદો સામે આવવા લાગી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અનેક લોકો દ્વારા આ ટોળકી સામે સમાન પ્રકારની ફરિયાદો જ આપવામાં આવી છે.
આ પરિસ્થિતિમાં ક્રાઈમ બ્રાન્ચે કડક પગલું ભરી “ખબર રાજકોટની”ના સંચાલકો સુરેશ વડેચા અને હિરેન ટાંકની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી સઘન પૂછપરછ શરૂ કરવામા આવી હતી. સાથે પોલીસ દ્વારા તેમને કાયદાનો પાઠ ભણાવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટોળકી દ્વારા લોકો પર દબાણ બનાવી નાણાં પડાવવાની પ્રવૃત્તિઓ સામે પોલીસ હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે તેવો કડક સંદેશ આપવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, થોડાક કથિત પત્રકારોની આવી હરકતોને કારણે સમગ્ર મીડિયા જગતની પ્રતિષ્ઠા પર અસર પડી રહી છે. સાચા અને નિષ્ઠાવાન પત્રકારો માટે પણ આ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી છે. સમાજમાં વિશ્વાસનો સંકટ ઊભો થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્તરે લોકોમાં ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને નાના પ્રકાશનોના વધતા પ્રભાવનો કેટલાક તત્વો દુરુપયોગ કરી રહ્યા છે. ખોટી માહિતી ફેલાવવી, અર્ધસત્ય રજૂ કરવું અને ત્યારબાદ સમાધાનના નામે નાણાં માંગવા, આવો નવો ટ્રેન્ડ ઊભો થયો છે, જે ચિંતાજનક છે.
પોલીસ તંત્ર હવે આ સમગ્ર મામલે સખત વલણ અપનાવી રહ્યું છે. સૂત્રો મુજબ, આગામી દિવસોમાં વધુ લોકો સામે ગુનાઓ નોંધાઈ શકે છે અને આ નેટવર્કને જડમૂળથી ઉખેડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવશે.
આ ઘટના માત્ર એક કાનૂની કેસ નથી, પરંતુ સમાજ માટે ચેતવણી સમાન છે. મીડિયા જેવી શક્તિશાળી સંસ્થાનો દુરુપયોગ થાય તો તેના પરિણામો વ્યાપક હોય શકે છે. આથી સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવો અને જવાબદાર પત્રકારિતાને પ્રોત્સાહન આપવું હવે સમયની માંગ બની ગઈ છે. રાજકોટમાં ચાલી રહેલી આ કાર્યવાહી હવે અન્ય શહેરો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે. જો કાયદો કડક રીતે લાગુ કરવામાં આવે અને આવા તત્વો સામે નિર્ભયપણે કાર્યવાહી થાય તો જ મીડિયા જગતની વિશ્વસનીયતા જળવાઈ રહી શકે.
આમ ચોથી જાગીર તરીકે ઓળખાતી મીડિયા શક્તિનો દુરુપયોગ કરનારાઓ સામે પોલીસની સખત કાર્યવાહીથી એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે સમાચારના નામે બ્લેકમેઇલિંગ હવે સહન નહીં કરવામાં આવે.
ખબર રાજકોટની સામે વિવાદ ઘેરાયો : વધુ ફરિયાદો ઉઠતા ગુનો દાખલ થવાની કાર્યવાહી
રાજકોટમાં કથિત પત્રકારોની ટોળકી સામે ઉઠેલા આક્ષેપો દિવસેને દિવસે ગંભીર બનતા જઈ રહ્યા છે. “ખબર રાજકોટની” પખવાડીક સમાચાર માધ્યમના સંચાલકો સામે અનેક જગ્યાઓએ દબાણ અને નાણાં ઉઘરાવવાના કિસ્સાઓ સામે આવતાં હવે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. તાજેતરમાં આ ટોળકી દ્વારા મોરબી રોડ પરના એક લોખંડના વેપારી પાસેથી રૂપિયા 2 લાખ ઉઘરાવ્યા હોવાની ફરિયાદ પણ પોલીસ સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
માહિતી મુજબ, બિલ્ડર લોબીને ટાર્ગેટ કરીને દબાણ બનાવવાના આક્ષેપો પહેલાથી જ સામે આવ્યા હતા, પરંતુ હવે અન્ય વેપારીઓ પણ આવી ટોળકીના શિકાર બન્યા હોવાના ખુલાસાઓ થઈ રહ્યા છે. આથી સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે. આ ઉપરાંત કથિત પત્રકાર અને “ભારત હેડલાઇન્સ” સાથે સંકળાયેલા અમિત ઠક્કર સહિતના લોકો સામે ભાજપના અગ્રણી વિજય પાડલીયાએ પણ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોને કારણે પોલીસ તપાસનો વ્યાપ વધ્યો છે અને વધુ લોકો આગળ આવી રહ્યા છે.
તે સિવાય “ખબર રાજકોટની”ના સંચાલક સુરેશ વડેચા સામે જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા એક રહેવાસી દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સતત વધતી ફરિયાદોને પગલે પોલીસ તંત્ર હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ રજૂઆતોના આધારે ટૂંક સમયમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરાઈ શકે છે અને કથિત પત્રકારોની આ ટોળકી સામે નવા ગુનાઓ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાના એંધાણ જણાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
‘ખબર રાજકોટ ની’ વિવાદમાં પોલીસ કાર્યવાહી બાદ સંચાલકનો મારપીટનો આક્ષેપ
“ખબર રાજકોટની” પખવાડિક માધ્યમ સાથે જોડાયેલા વિવાદમાં વધુ એક નવો વળાંક સામે આવ્યો છે. પોલીસ દ્વારા સંચાલકો સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે સંચાલક સુરેશ વડેચાએ પોલીસ પર જ મારપીટના આક્ષેપો કરતા મામલો વધુ ગરમાયો છે. માહિતી મુજબ, “ખબર રાજકોટની”ના સંચાલકો સુરેશ વડેચા અને હિરેન ટાંકને પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી અંગે પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંનેને કાયદાનો પાઠ ભણાવી આગળથી આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે સંકેત આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ પોલીસ મથકેથી બહાર આવ્યા બાદ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેશ વડેચા સીધો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને ત્યાં દાખલ પણ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેણે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એક તરફ પોલીસ દ્વારા કથિત પત્રકારોની ટોળકી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ખબર રાજકોટની ના સંચાલક દ્વારા જ પોલીસ પર ગંભીર આક્ષેપો કરાતા સમગ્ર મામલો વધુ જટિલ બન્યો છે.
સૂત્રો મુજબ, પોલીસ તંત્ર આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને તમામ પાસાઓની તપાસ કરવાની તૈયારીમાં છે. સાથે જ, પોલીસ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, કાર્યવાહી બાદ આ પ્રકારના આક્ષેપો કરીને દબાણ બનાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. આમ સુધરવાના બદલે પોલીસ સામે નોર ભરાવી વિવાદ વધુ ઉગ્ર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા આ મામલે વધુ સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે. જેને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ યથાવત છે.
વાયરલ વીડિયોએ ઉઠાવ્યા સવાલો: ‘ભારત હેડલાઇન્સ સાથે જોડાયેલા નામ પર ડિમોલિશન મામલે આક્ષેપો
રાજકોટમાં કથિત પત્રકારોની ટોળકી સામે ચાલતી પોલીસ કાર્યવાહી વચ્ચે હવે એક વાયરલ વીડિયો નવા વિવાદને જન્મ આપતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પોલીસે ‘ભારત હેડલાઇન્સ’ સાથે જોડાયેલા અમિત ઠક્કર સહિત 12 લોકો સામે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી, જેને શહેરમાં વ્યાપક સમર્થન મળ્યું હતું. પરંતુ હવે સામે આવેલા નવા વીડિયો અને આક્ષેપોએ ફરી એકવાર ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નવાગામ વિસ્તારમાં સૂચિત ઝોનમાં આવેલ એક મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતું જોવા મળે છે. આ કાર્યવાહી અંગે મકાન માલિકે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે આસપાસના અન્ય મકાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ માત્ર તેમના મકાનને જ નિશાન બનાવવામાં આવ્યું છે. મકાન માલિકનો આક્ષેપ છે કે ‘ભારત હેડલાઇન્સ’ સાથે સંકળાયેલા અમિત ઠક્કર દ્વારા તેમના પાસેથી નાણાંની માંગણી કરવામાં આવી હતી. તેઓએ આ માંગણી સ્વીકારી નહોતી, જેના પગલે દબાણરૂપે તેમના મકાન પર ડિમોલિશન કાર્યવાહી કરાવવામાં આવી હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે.
આ વીડિયોએ શહેરમાં ફરી ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે અને કથિત પત્રકારોની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું દબાણ અને પ્રભાવનો ઉપયોગ કરીને આવી કાર્યવાહી કરાવવામાં આવી રહી છે કે નહીં. પોલીસ સૂત્રો મુજબ સમગ્ર મામલે હકીકત જાણવા માટે તપાસ જરૂરી છે અને વાયરલ વીડિયોની પણ ચકાસણી કરવામાં આવશે. તાજેતરની કાર્યવાહી બાદ હવે આવા નવા આક્ષેપો સામે આવતા આગામી દિવસોમાં વધુ તપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ એક પછી એક સામે આવતા આક્ષેપો અને વાયરલ વીડિયોઝના કારણે સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બની રહ્યું છે.


