NOCAS (No Objection Certificate Application System) સાઇટ ઉપર પણ નોટીફિકેશન મૂકાઇ ગયા
રાજકોટમાં હવે 3૦ થી ૪૦ માળના સ્કાય સ્ક્રેપર બનાવવાનો માર્ગ વિધિવત રીતે ખૂલ્લો થયો : બાંધકામ ઉદ્યોગમાં આવકાર
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રારંભ બાદ છેલ્લા એક વર્ષથી રાજકોટના જૂના એરપોર્ટનું ઓપરેશન રદ કરવા અને તેના અનુસંધાને ફનેલ તથા એનઓસીના નિયમોના દૂર કરવાની રાજકોટ બિલ્ડર એસોસીએશન અને ક્રેડાઇના પ્રયાસોને હવે સંપૂર્ણ સફળતા મળી છે. એક સપ્તાહ પૂર્વે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ રાજકોટના જૂના એરપોર્ટને ઓપરેશન માટે રદ કરી નવા એરપોર્ટમાં મર્જ કરી દીધાની જાહેરાત કરી હતી. આ અંગે ગેઝેટ પણ પ્રસિધ્ધ થઇ ગયું હતું. હવે એરપોર્ટની પરમિશન માટેની No Objection Certificate Application System દ્વારા પણ તેમની વેબસાઇટ પર નોટીફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ નોટીફિકેશનના પગલે રાજકોટ મહાનગરપાલિકામાં તેમજ રૂડા વિસ્તારમાં બાંધકામ માટે જૂના એરપોર્ટની જૂની ત્રીજીયામાં આવતા કોઇપણ નિયમોના એનઓસી નહી લેવા પડે. જેનો સીધો અર્થ એ થાય છે કે રાજકોટમાં હવે 3૦, ૪૦ કે પ૦ માળના બહુમાળી ઇમારતો કરવામાં એરપોર્ટ ઓર્થોરિટીની પરમિશન લેવાની થશે નહી. સ્વાભાવિક રીતે શહેરના વિકાસને અડીને આવેલા ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતાં વિસ્તારોમાં બાંધકામને ખૂબ જ વેગ મળશે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે રાજકોટ ક્રેડાઇના વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવીક તળાવીયાએ ગત સપ્તાહમાં દિલ્હી ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને મળીને આ મામલે રજુઆતો કરી હતી અને તેમને કિલયરન્સ સાથેનું ગેઝેટ આપવામાં આવ્યું હતું. હવે રાજકોટ અને રૂડામાં ઝડપભેર બિલ્ડરો મોટી સંખ્યામાં પ્રોજેકટ મૂકે તેવી શકયતા છે. રાજકોટના વિકાસને નવી ઊંચાઇ આ સાથે મળશે.


