- આધારકાર્ડ- UID નંબર-અંગૂઠાની છાપ આપશો તો સબ રજિસ્ટ્રાર બે સાક્ષીની માગણી નહીં કરે
- મહેસૂલ વિભાગે દસ્તાવેજ નોંધણી માટે પક્ષકારોની સહમતીને આધારે બે પ્રકારના વિકલ્પ જાહેર કર્યા
- જો પક્ષકાર UID નંબર, અંગૂઠાની છાપ આપવા અસહમત હશે તો જ કચેરીમાં બે સાક્ષી લાવવા પડશે
ગુજરાતમાં જમીન- મિલકતના દસ્તાવેજની નોંધણીને તબક્કે પક્ષકારો પોતાનું આધારકાર્ડ- UID નંબર અને અંગૂઠાની છાપ આપવા તૈયાર થશે તો સાક્ષીઓની જરૂર પડશે નહી ! મહેસૂલ વિભાગે સોમવારે સિંગલ નોટિફિકેશનથી રજિસ્ટ્રેશન એક્ટ- 1908માં મહત્વનો સુધારો જાહેર કર્યો છે. જેમાં દસ્તાવેજ નોંધણીમાં પક્ષકારોને ઓળખ માટે સાક્ષીઓ રજુ કરવા કે પછી સ્વંય ખરાઈ કરવા બે પ્રકારના વિકલ્પ સાથેની કાર્યાવિધિને સ્પષ્ટ કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી સોમવારે રજિસ્ટ્રેશન એક્ટ- 1908ની કલમ 69ની પેટા કલમમાં કેટલાક મહત્વના સુધારાઓ સુચવતુ નોટિફિકેશન પ્રસિધ્ધ થયું હતું જેમાં કહેવાયું છે કે, સબ રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય ત્યારે દસ્તાવેજના પક્ષકારોએ આધારકાર્ડ- UID અધિકૃત કરવા સંદર્ભે સહમતિ કે અસહમતિ દર્શાવવાની રહેશે. લેખિતમાં થનારી આ પ્રક્રિયામાં જો પક્ષકાર સહમતિ દર્શાવશે તો તેમને પોતાની ઓળખ માટે બે સાક્ષી રજૂ કરવાની અનિવાર્યતા રહેશે નહી. આવા કિસ્સામાં માત્ર પક્ષકારે સ્ટેમ્પ રજિસ્ટ્રેશનના સોફ્ટવેરમાં કમ્પ્યુટર દ્વારા પોતાના અંગુઠાની છાપથી પોતાની ઓળખ અર્થાત ખરાઈ કરાવાની રહેશે. પરંતુ, જો પક્ષકાર UID અધિકૃતતા અર્થાત અંગુઠાની છાપ આપવા અસહમતિ દર્શાવે તો તેવા કિસ્સામાં પક્ષકારને પોતાની ઓળખને અધિકૃત કરવા હાલમાં ચાલી રહેલી પદ્ધતિ મુજબ બે સાક્ષીઓ રજુ કરવાના રહેશે. સરકારના આ નિર્ણયથી સ્ટેમ્પ રજિસ્ટ્રેશન માટેની સબ રજિસ્ટ્રાર કચેરીઓનું ભારણ ઘટશે અને દસ્તાવેજ નોંધણીની ઝડપમાં પણ વધારો થશે.
ટેક્નોલોજીના ઉપયોગથી છેતરપિંડીનું પ્રમાણ ઘટશે
ગુજરાત રજિસ્ટ્રેશન (આઈડેન્ટી વેરિફિકેશન ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ડોક્યુમેન્ટ) રૂલ્સ- 2023ના અમલથી ખોટી રીતે બીજાનુ નામ ધારણ કરીને થઈ રહેલા દસ્તાવેજનું પ્રમાણ અટકશે. ટેકનોલોજીના ઉપયોગથી છેતરપિંડીવાળા બનાવોનું પ્રમાણ પણ ઘટશે. ગુજરાતમાં પહેલા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ પ્રકારે UID, અંગુઠાની છાપથી પક્ષકારના પ્રમાણિતકરણ કરીને દસ્તાવેજ નોંધણી શરૂ કરાઈ છે. જેના માટે ખાસ પ્રકારનું સોફ્ટવેર પણ બનાવાયું છે.
બે સપ્તાહમાં પ્રાયોગિક પ્રાયોગિક ધોરણે અમલ
UID અને અંગુઠાની છાપથી ઓળખના પ્રમાણિતકરણ માટે સોફ્ટવેર તૈયાર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓ સાથે લીંકઅપ કરાશે. બે- ત્રણ સપ્તાહમાં પ્રાયોગિક ધોરણે કેટલીક કચેરીઓમાં તેનો અમલ કરવાની તૈયારી છે. પક્ષકારોના UIDની માહિતી ગુપ્ત રહશે”


