ગુજરાતી લોકસાહિત્ય અને ચારણીસાહિત્યના અભ્યાસી વિદ્વાનોને ‘ભગતબાપુ’ પદ્મશ્રી દુલા ભાયા કાગના નામથી પૂ. મોરારીબાપુની નિશ્રામાં છેલ્લા ૨૨ વર્ષથી, એટલે કે ઈ.સ. ૨૦૦૨થી કાગધામ–મજાદર ખાતે ‘કાગ એવોર્ડ’ અપાય છે.

પ્રખ્યાત રામકથાકાર મોરારિબાપુ પ્રેરિત કાગ એવોર્ડ-2024 તાજેતરમાં પસંદગી સમિતિના સંયોજક ડો. બળવંત જાની દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે જાણીતા લેખક-પત્રકાર રાજુલ દવે, લોકકલાના કલાકારો દેવરાજ ગઢવી(ઉપલેટા) અને લાખણશીભાઈ ગઢવી(જુનાગઢ), એક સમયના જાણિતા સામાયિક ‘સ્ત્રીજીવન’ના સંચાલક અને લોકસાહિત્યની ગત પેઢીના વિધ્વાન મનુભાઈ જોઘાણીને મરણોત્તર અને રાજસ્થાનમાં ગિરધરદાન રત્નું (દાસોંડી)ને કાગ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આગામી 13મી માર્ચ, બુધવારે કાગધામ (મજાદર) ખાતે યોજાનારા કાર્યક્રમમાં મોરારિબાપુના હસ્તે પાંચ વ્યક્તિઓને એવોર્ડ એનાયત થશે. તેમાં શાલ, સન્માનપત્ર અને રૂ.51 હજારની રાશિનો સમાવેશ થાય છે.
લોકસાહિત્ય ક્ષેત્રના સંશોધક-સંપાદક, સંરક્ષક, વાહક, અને એક દિવંગત મૂર્ધન્ય લોકસાહિત્યવિદ્ તથા એક રાજસ્થાની ભાષાના ચારણીસાહિત્યમાં જેમનું ઉત્કૃષ્ટ પ્રદાન હોય એવા કલાઉપાસકને મળી કૂલ પાંચ વ્યક્તિઓની આ રીતે વંદના કરવામાં આવે છે. સાથે ‘કાગને ફળિયે કાગની વાતું’ નામે વ્યાખ્યાન-પરિસંવાદ પણ થાય છે. આ વરસે સ્વ. મનુભાઈ જોધાણી, લાખણશીભાઈ ગઢવી, દેવરાજ ગઢવી, રાજસ્થાનના ગિરધરદાન રતનુની સાથે રાજુલભાઈ દવેને પણ ‘કાગ એવોર્ડ’થી વિભૂષિત કરાશે.
રાજુલ દવેનું નામ સાહિત્ય, લોકકલાઓ, પત્રકારિત્વ અને સામાજિક સેવાસંસ્થાઓમાં રસ ધરાવનારાઓ માટે જરા યે અજાણ્યું નથી. સાયન્સના વિદ્યાર્થી એવા રાજુલભાઈએ પત્રકારિત્વના ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકાયું પરંતુ બાળપણથી જ સ્વાતંત્ર્યસેનાની અને ભારતી સાહિત્ય સંઘના પ્રણેતા માતુશ્રી વિદ્યાબહેન, પિતા ઈશ્વરભાઈ મો. દવે, અને જયમલ્લભાઈ પરમારની નિશ્રામાં લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય,ચારણી–બારોટીસાહિત્ય અને સંતસાહિત્યના સંસ્કારો મળતા રહેલા, ઉપરાંત ‘ઊર્મિનવરચના’ જેવા લોકસાહિત્યને વરેલા સામયિકના સંચાલનમાં પણ રાજુલભાઈનું ઘડતર થતું રહ્યું. બાલ્યાવસ્થામાં જ એમને ત્યાં અગણિત સાહિત્યકારો, કવિઓ-કલાકારો, પુરાતત્વવિદો, ઈતિહાસકારો તથા કાગબાપુ, મેરૂભાબાપુ, દુલેરાય કારાણી, મણિભાઈ વોરા, શંભુદાનજી અયાચી, પિંગળશીભાઈ, શંકરદાનજી, રામસિંહજી રાઠોડ, કે.કા.શાસ્ત્રીજી, મકરન્દ દવે, નારાયણદાન બાલિયા જેવા લોકવાણીના મરમી જાણતલ વિદ્વાનો સતત આવતા રહે. એમની જ્ઞાનચર્ચાઓ બાળમાનસમાં ઝીલાતી રહે.
ભાવનગરમાં વિજ્ઞાનના વિષયે સ્નાતક-અનુસ્નાતક થયા પછી પત્રકાર તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવી, ‘ફૂલછાબ’ અને ‘ફાઈનાન્સિયલ એક્સપ્રેસ’ જેવા અખબારોમાં પત્રકાર તરીકે ફરજ બજાવી, અનેક કોલમ પણ લખી, જયમલ્લભાઈનાં પુસ્તકો અને ઊર્મિ નવરચના’ના લગભગ તમામ વિશેષાંકોની સામગ્રીનું પુનઃ સંપાદન કરીને ચાલીસેક પુસ્તકોનું પ્રકાશન કર્યું.એમણે પોતે પણ દસેક પુસ્તકોનું લેખન કર્યું. અનેક પરિસંવાદો-સેમિનારમાં ખાસ કરીને લોકવિદ્યા-લોકકલા પેત્રના અભ્યાસનિબંધો પ્રસ્તુત કર્યા. પૂ. બાપુના આદેશથી ‘કાગ એવોર્ડ’ની શરૂઆત થઈ ત્યારથી તે આજસુધી પૂર્ણ નિષ્ઠાથી એના સંકલન-આયોજનમાં જોડાયેલા રહ્યા.
આજે થતું એમનું સન્માન માત્ર સંશોધક-લેખક-પત્રકાર-સંપાદક રાજુલ દવેનું સન્માન નથી પણ ‘ઊર્મિનવરચના’ની પૂરા ચોવીસર્ષની લોકયાત્રા, જયમલભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, નિરંજન વર્મા, વિદ્યાબહેન દવે, રતુભાઈ અદાણી અને એમની સાથે જોડાયેલા અનેક લોકવિદ્યા- લોકસંસ્કૃતિ-લોકસાહિત્ય-લોકસંગીત ક્ષેત્રના તપસ્વીઓની દિવ્ય ચેતનાઓની પણ ભાવવંદના છે.
૨૦૦૩માં. જયમલભાઈને મરણોત્તર ‘કાગ એવોડ’થી સન્માનિત કરાયેલા અને રાજુલભાઈએ તે સ્વીકારેલ, આજે ૨૧ વર્ષે ફરી રાજુલભાઈને આ સન્માન મળી રહ્યું છે ત્યારે અમારા ૪૮ વર્ષના સ્નેહસંબંધોની સ્મૃતિ થઈ આવે છે.
૧૯૭૬થી મેં રાજકોટમાં અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો અને જયમલ્લભાઈ, ઈશ્વરભાઈ, રાજુલભાઈએ પોતાના પરિવારના એક સભ્ય તરીકે જ મને સ્વીકારી લીધેલો. રાજુલભાઈના માતુશ્રી વિદ્યાબહેન દવેએ તો મારા કપરા દિવસોમાં મને પોતાના સંતાનથી વિશેષ ગણીને સાંચવેલ. જયમલભાઈની નાદુરસ્ત તબિયતને કારણે મુંબઈ સારવાર માટે જવાનું થાય અને બાર-પંદર દિવસ માત્ર મારે અને રાજુલભાઈએ ઘર સંભાળવાનું બને, હું રસોઈ બનાવું ને રાજુભાઈ પત્રકાર તરીકેની ફરજ બજાવે, રાજુલભાઈના વિવાહ સમયે નિમંત્રણ પત્રિકાઓ પહોંચાડવાથી માંડી મહેમાનોને સાચવવાની જવાબદારી પણ મેં સંભાળેલી. જયમલભાઈ અને રતુભાઈ સાથે દરેક લોકસાહિત્ય પરિવાર મિલન વખતે એ કાર્યકૂમોનું ધ્વનિમુદ્રણ, ઊર્મિનવરચના’ના ગ્રાહકો માટે રે૫૨ પ૨ સરનામાં, ‘ઊર્મિનવરચના’માં પ્રકાશન માટે આવેલા લેખ, વાર્તાઓ, કાવ્યોની પ્રેસકોપી, સુરૂપ મુદ્રિકામાંથી સાહિત્યસામગ્રીના પ્રૂફસ લાવવા-પરત પહોંચાડવા જેવી અનેકવિધ કામિંગરી રાજુલભાઈ સાથે મળીને કરવાનું સૌભાગ્ય મને મળતું રહ્યું એ અમારો ઘડતરકાળ હતો. એમને ત્યાંના અતિ સમૃદ્ધ ગ્રંથાલય અને ધ્વનિમુદ્રિત સામગ્રીની ઓડિયો લાયબ્રેરીનો મને ખૂબ જ લાભ મળ્યો છે. એટલે તો આજે રાજુલભાઈને આ સન્માન મળી રહ્યું છે તેનો અપાર આનંદ છે.
લોકસાહિત્યના સંશોધન અને સંપાદન ક્ષેત્રે જયમલભાઈ દ્વારા આપણને ‘આપણી લોકસંસ્કૃતિ’, ‘આપણા રાસ ગરબા’, લોકસાહિત્ય અને સંસ્કૃતિ’, લોકસાહિત્યવિમર્શ’, ‘આપણું લોકસંગીત’, ‘લોકવાર્તા : સર્જન અને સંશોધન’, ‘આપણાં લોકગીતો’, ‘આપણું ભરતગૂંથણ’ જેવાં વિવેચનગ્રંથો ઉપરાંત ‘ધરતીની અમીરાત’, ‘ધરતીની મહેક’, ‘ધરતીનાં મોતી’, ‘ધરતીની સોડમ’, જેવાં લોકવાર્તા સંગ્રહો મળ્યા છે. તો ‘લોકવાર્તાની રસલ્હાણ’, ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’ જેવા લોકવાર્તાના સંપાદનો પણ પ્રાપ્ત થયાં છે. આ તમામ સાહિત્યનું પુનઃ પ્રકાશન રાજુલભાઈ દ્વારા થતું રહ્યું છે. ‘ ફૂલછાબ’દૈનિકપત્રમાં ‘સંત શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં સેવા ધરમના અમરધામ’ શીર્ષક નીચે જયમલ્લભાઈ દ્વારા રાજુલ દવેના સહકારથી તા. ૨૫/૨/૧૯૮૭થી તા.૨૬/૨/૧૯૮૯ સુધીના ૧૧૦ હપ્તામાં દર અઠવાડિયે પ્રકાશિત થયેલ લેખમાળામાં ૬૭ જેટલાં ધાર્મિક સ્થાનકો અને ૧૫ જેટલાં સંતો-ભક્તોનો પરિચય અપાયો.ત્યારબાદ ‘સેવા ધરમના અમરધામ’ના નામે ઓકટો.૧૯૯૦માં ડૉ.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ,અમરેલી દ્વારા ૫૬૪ પૃષ્ઠોમાં પ્રથમ આવૃત્તિ જયમલ્લભાઈ તથા રાજુલભાઈ દવેના સંયુક્ત નામથી પ્રકાશિત થયેલી. એમાં સૌરાષ્ટ્રના શિવાલયો,ધર્મારણ્યો,સ્ત્રીસંતો, શક્તિપૂજા,ધાર્મિક જગ્યાઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, અભેદના ઉપાસકો, અમરેલી પંથકના સંતો, અર્વાચીન સંતો અને સ્થાનકો,આપણી ભૂમિ, આપણી ભજનવાણી, આગમવાણીનાં ભજનો, માર્ગીપંથની વાણી અને ભજન રૂપારેલ –એવા પંદરેક વિભાગોમાં સંતો,સંતસ્થાનો, સંત પરંપરાઓ,સંતસાહિત્યના વિભિન્ન સ્વરૂપ-પ્રકારો વિશે પ્રમાણભૂત એવી સામગ્રી આપવામાં આવી છે. આમ લોકવિદ્યાક્ષેત્રના સંશોધન,સંપાદન,સંકલન, પ્રકાશન ક્ષેત્રે રાજુલભાઈચાર ચાર દશકથી પૂર્ણ રીતે સફ્રીય રહ્યા છે.


