ભગવાન રામને મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવે છે, કેમ કે તેઓ આજીવન ક્યાંય મર્યાદા ચૂક્યા નહોતા. બધી ફરજો પૂરી કરી હતી. બધી પરંપરા નિભાવી હતી. તેમ છતાં તેઓને એક ઋણ ચૂકવવાનું રહી ગયું હતું. તેઓ હનુમાનજીના ઋણી હતા. ભગવાન રામ માટે તેમણે એટલાં બધાં કાર્યો કર્યાં હતાં કે અંતકાળ સુધી શ્રીરામ તેમનું ઋણ ઉતારી શક્યા ન હતા. ભગવાન રામ જ જેમના ઋણી છે એ હનુમાનજી આગળ મનુષ્ય કેટલો નાનો કહેવાય!
હનુમાનજીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે એ દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. તમે કોઈ રહેણાક વિસ્તાર જોયો છે, જ્યાં હનુમાનજીની હાજરી ન હોય. એ રીતે નાના-મોટા સૌ કોઈમાં લોકપ્રિય હોય એવા ભગવાન પણ બજરંગબલી એકલા જ છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો અને તે દિવસને આપણે હનુમાન જયંતી તરીકે ઊજવીએ છીએ. શ્રી હનુમાન વીર, જ્ઞાની, રાજનીતિમાં નિપુણ, વિદ્વાન, વક્તૃત્વકળામાં નિપુણ, બુદ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર વગેરે સર્વગુણોથી સંપન્ન વ્યક્તિ હતા. શ્રીરામના તેઓ પરમ ભક્ત હતા. શ્રી રામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ તેમનામાં નખશિખ અભિમાનનો ભાવ નહોતો.
ભગવાન શંકરનો અગિયારમો રુદ્ર અવતાર અંજનીપુત્ર હનુમાનજી પૃથ્વી પર આજે પણ વિદ્યમાન છે. તેમની ઉપાસના-આરાધના કરવાથી મોટામાં મોટાં કષ્ટ દૂર થાય છે. પ્રાચીન ગ્રંથોમાં મહાવીર હનુમાનના જન્મના અનેક પ્રસંગો છે, જેમાંથી એક પ્રસંગ અહીં પ્રસ્તુત છે.
એક પ્રસંગ અનુસાર મહેન્દ્રપુરના રાજા શ્રી મહેન્દ્રરાયની પુત્રી રાજકુમારી અંજના મુનિ ચંચકના આશ્રમમાં રહેતી હતી અને મુનિકન્યાઓ સાથે વિદ્યાભ્યાસ કરી રહી હતી. મુનિ ચંચકનો આશ્રમ એક આદર્શ આશ્રમ હતો, જ્યાં પશુ-પક્ષી પણ કોઈ પણ જાતના ડર વગર સાથે જ રહેતાં હતાં.
એકવાર એક નવજાત હરણ (મૃગ)ના બચ્ચાને અંજનાએ જન્મ્યું કે તરત જ ઉઠાવી લીધું અને પોતાની સખીઓ સાથે તેને પ્રેમથી રમાડવા લાગી. બચ્ચાની મા હરણી પોતાના બાળકનો ક્ષણિક પણ વિયોગ સહન ન કરી શકી અને પરલોક સિધાવી ગઈ. આ સાંભળી મુનિએ આવેશમાં આવીને અંજનાને શાપ આપ્યો કે તે જ્યારે પણ પુત્રને સ્પર્શ કરશે ત્યારે તરત જ તે મૃત્યુના સકંજામાં ફસાઈ જશે. મુનિનો શાપ સાંભળી અંજના તથા અન્ય કન્યાઓ શોકગ્રસ્ત થઈને શાપમુક્તિની પ્રાર્થના કરવા લાગી. તેનાથી પ્રસન્ન થઈને મુનિએ કહ્યું કે અંજના કોઈ સાધારણ રાજકુમારી નથી. ભગવાન શંકરનો અંશ ખુદ તેના ગર્ભથી અવતાર લેશે.
રાજકુમારી અંજનાનો વિવાહ સત્યપથ પ્રદેશના મહારાજ કેસરી સાથે થયો. ઘણા સમય સુધી તેમણે રાજસુખ ભોગવ્યા બાદ મહારાણી અંજનાને પુત્રની કામના થઈ. આ કામનાની પૂર્તિ માટે તેમણે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું, અગિયાર રુદ્રોમાંથી એક અંશ તેમને પુત્રરૂપે પ્રાપ્ત થશે. ભગવાન શિવે તેમને જાપ કરવા માટે મંત્ર આપીને કહ્યું કે તેમને પવન દેવતાના પ્રસાદથી એક સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થશે.
એકવાર સૌભાગ્યવતી અંજના પોતાની સખીઓ સાથે પોતાના આંગણામાં બેઠી હતી ત્યારે આકાશ માર્ગથી એક સમડી કોઈ પિંડ જેવી વસ્તુ લઈને ઊડી રહી હતી. તે ઠંડા પવનને કારણે ઠરી ગઈ અને તેને કારણે આ પિંડ તેની ચાંચમાંથી છૂટી ગયું. પવનદેવતા કે જેઓ પહેલાંથી જ આ અવસરની રાહ જોતા હતા. તેમણે તેને પોતાના પવનની મદદથી મહારાણીના ખોળામાં પાડ્યું. આ પિંડને સમડી રાજા દશરથના હવનકુંડમાંથી લઈને ભાગી હતી. આ પિંડને મહારાણી જોઈ રહ્યાં હતાં. તેમના મનમાં અનેક વિચાર આવી રહ્યા હતા ત્યારે જ આકાશવાણી થઈ, `હે અંજને! તમે તેને ગ્રહણ કરો. આ જ તમારા પુત્રની ઉત્પત્તિનું કારણ બનશે.’ મહારાણી અંજના તરત જ તેને ખાઈ ગયાં અને ગર્ભવતી બની ગયાં.
એક દિવસ ભીષણ વાદળોનાં ગર્જન અને સુસવાટા મારતા પવનથી ભયભીત થઈને મહારાણી અંજના એક સ્થાન પર છુપાઈને બેસી ગયાં. આ વિકટ સમયમાં ગાઢ અંધકારને ભેદીને દિવાકરની જેમ ભગવાન શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા. મા અંજના મૂર્છિત થઈને પડી ગયાં અને સખીઓની સામે અંધકાર છવાઈ ગયો.
માની બધી જ પીડાઓને હરીને અંતર્યામી ભગવાન શ્રી હનુમાનજીએ જ્યારે તેમને પોતાનાં દર્શન કરાવ્યાં ત્યારે તેમણે જોયું કે બાળકની જગ્યાએ ભગવાન શંકર ઊભા હતા. તેમના હાથમાં ત્રિશૂળ તથા ડમરુ શોભાયમાન હતાં. તેમના શીશ ઉપર ધવલ ચંદ્ર તથા ત્રિભુવન તારિણી ગંગાજી વિદ્યમાન હતા. વાઘંબરધારી ભૂતનાથે પોતાના શરીર પર ભસ્મ લગાવેલી હતી તથા સર્પોની માળા પહેરીને મંદ મંદ હસી રહ્યા હતા. લોક કલ્યાણકારી ભગવાન શંકરે પોતાની માતાને સૃષ્ટિની રચનાથી લઈને મહાપ્રલય સુધીનાં બધાં જ દૃશ્યો બતાવ્યાં અને સાથે સૃષ્ટિનાં બધાં જ રહસ્યો જણાવીને અપૂર્વ જ્ઞાન જ્યોતિ આપી. ત્યારબાદ તેમણે બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બાળક સ્વભાવનો પરિચય આપવા માટે રુદન કરવા લાગ્યા.
આ રીતે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના પવિત્ર દિવસે માતા અંજનાના ગર્ભથી મહાવીર હનુમાન અવતર્યા.
પવનદેવે પ્રગટ થઈને માતા અંજનાને પ્રણામ કર્યાં અને કહ્યું, `હે દેવી! આપનો વિલાપ સાંભળીને મારો પ્રબળ વેગ અવરુદ્ધ થઈ ગયો. શું હું આપના કષ્ટનું કારણ પૂછી શકું છું?’ માતા અંજનાએ સિસકારીઓ ભરતાં કહ્યું, પુત્રના વિયોગ કરતાં તો મરવું સારું છે. ત્યારે જ આકાશવાણી થઈ, `હે અંજને! તમે તમારા પ્રિય પુત્રને મહાત્મા પવનદેવને સોંપી દો. તેઓ જ તેની રક્ષાના અધિકારી છે.’
આકાશવાણી સાંભળીને માતા અંજનાએ પોતાના પ્રાણોથી પણ પ્રિય નવજાત પુત્રને પવનદેવની દેખરેખમાં સોંપી દીધો. પવનદેવ પુત્રને લઈને પોતાના લોકમાં ગયા. વાયુલોકમાં બાળકનું અપૂર્વ સ્વાગત થયું અને તે પવનપુત્રના નામથી પ્રસિદ્ધ થયા. પુત્રોત્સવમાં બધા જ દેવતાઓ અને દેવીઓએ ભાગ લીધો અને ઉપહાર સ્વરૂપે બાળકને કેટલાંક ગુણ અને શક્તિ પ્રદાન કર્યાં.
સૂર્યએ બુદ્ધિ તથા તેજ તેમજ વિષ્ણુએ ચક્રશક્તિ તથા અમરત્વ, ઈન્દ્રએ વ્રજશક્તિ, બ્રહ્માએ મનની ગતિનો વેગ તથા વિવિધ શક્તિઓ પ્રદાન કરી. અગ્નિદેવને વચન આપ્યું કે તેઓ આ બાળક માટે જળની જેમ શીતળ રહેશે. જળના દેવતા વરુણે કહ્યું કે આ બાળક જળચર જીવોની જેમ જળ પર સ્વેચ્છાથી ભ્રમણ કરી શકશે. પવનદેવે પણ પોતાની પ્રબળ શક્તિ આપીને બાળકને આકાશમાં ભ્રમણ કરવા યોગ્ય બનાવી દીધું.
ચૈત્ર પૂનમનું મહત્ત્વ
ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે સ્ત્રી-પુરુષ, આબાલવૃદ્ધ એમ દરેક જણ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પોતાનાં પાપ ધોઈને સ્વયંને પવિત્ર કરે છે. આ દિવસે લક્ષ્મી નારાયણ પોતાના ઘરમાં વસે તેવી ભાવના સાથે વ્રત કરવામાં આવે છે અને સત્યનારાયણની કથા પણ રાખવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
ચૈત્ર માસની પૂનમને ચૈત્રી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમાં ઉત્સવ રચ્યો હતો. જેને મહારાસના નામથી ઓળખવામાં આવે છે. આ મહારાસ કાર્તિક (કારતક) પૂર્ણિમાએ શરૂ થઈને ચૈત્રી પૂર્ણિમાએ સમાપ્ત થયો હતો. આ દિવસે તેમણે પોતાની અનંત યોગશક્તિથી પોતાનાં જ અસંખ્ય સ્વરૂપ ધારણ કરીને જેટલી ગોપીઓ હતી, તેટલા જ કાનાનાં વિરાટ રૂપ ધારણ કર્યાં હતાં.
ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજીનો જન્મદિવસ ઊજવવામાં આવે છે. હનુમાનજીને શણગાર સજાવી તેમનું પૂજન-અર્ચન-આરતી કરવામાં આવે છે.