ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા છે. એક કે બે નહીં, પરંતુ નવ સ્થળોએ એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો. આનાથી પાકિસ્તાન હચમચી ગયું છે. પરંતુ અમેરિકાનું વલણ ફરી એકવાર અત્યંત બેજવાબદાર દેખાઇ રહ્યુ છે. ભારતના “ઓપરેશન સિંદૂર”ને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરમજનક ગણાવ્યુ છે.
ટ્રમ્પની ભારત માટે પ્રતિક્રિયા
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ શરમજનક પગલું છે. અમે હમણાં જ આ વિશે સાંભળ્યું. મને લાગ્યું કે કંઈક થવાનું છે. ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી એકબીજા સાથે લડી રહ્યા છે. આ એ જ અમેરિકા છે જેના પર 9-11ના રોજ હુમલો થયો હતો. ત્યારે આખા અફઘાનિસ્તાનનો નાશ કર્યો હતો. તેણે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારવા માટે ઓપરેશન શરૂ કર્યું હતુ. ઓસામા બિન લાદેન લાંબા સમયથી એબોટાબાદની ટેકરીઓમાં છુપાયેલો હતો. પરંતુ, તે સમયે અમેરિકાને તેની નૈતિકતા યાદ નહોતી આવી. તેણે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામેના યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોને માર્યા હતા.
આમા છે અમેરિકાનો કોઇ સ્વાર્થ ?
અમેરિકા આતંકવાદને પોતાની રીતે, પોતાના અંગત હિતમાં જુએ છે. તે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓને હળવાશથી કેમ લે છે? જો એક અમેરિકનના જીવનની કિંમત કરોડો છે, તો શું આપણા ભારતીયોના જીવનની કોઈ કિંમત નથી? ડોનાલ્ડ ટ્રમ્પ, આ નવું ભારત છે. આજે આપણને કોઈના ઉપદેશોની જરૂર નથી. તાજેતરમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે સાચું કહ્યું હતું કે વર્તમાન ભારતને એવા દેશોની જરૂર નથી જે તેને ઉપદેશ આપે છે. તેના બદલે, તે પોતે નક્કી કરે છે કે તે શું કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશો હજુ પણ ઉપદેશકો છે. તેઓ પોતાના રાષ્ટ્રીય હિતમાં ગમે તે કામ કરે, જો કોઈ બીજો દેશ પણ એ જ કામ કરે, તો તેઓ તેમને ઉપદેશ આપવાનું શરૂ કરી દે છે. શું 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 ભારતીયોની હત્યા શરમજનક કૃત્ય નહોતું? પહેલગામ પહેલા ભારત પર સેંકડો ઘા કરનાર પાકિસ્તાનના કાર્યો શરમજનક નથી.?
આ નવું ભારત છે
જ્યારે અમેરિકાની વાત આવે છે ત્યારે તે વિશ્વના કોઈપણ ખૂણા પર હુમલો કરી શકે છે. પરંતુ ત્રણ દાયકાથી વધુ સમયથી સતત આતંકવાદના ઘા સહન કરી રહેલા ભારતને તેના હિતોના રક્ષણ માટે પગલાં લેવાનો કોઈ અધિકાર નથી. આ સમય આતંકવાદ સામે એક થઈને લડવાનો છે. એવું ન બની શકે કે અમેરિકા પર હુમલો કરનારા આતંકવાદીઓનો ચહેરો અલગ હોય અને ભારત પર હુમલો કરનારા આતંકવાદીઓનો ચહેરો અલગ હોય. ડોનાલ્ડ ટ્રમ્પ, આ હવે કામ નહીં કરે. આ નવું ભારત છે અને તે સારી રીતે જાણે છે કે તેના પર થયેલા હુમલાનો બદલો કેવી રીતે લેવો.


