- 22મીએ મોટાભાગની સોસાયટીઓ, ફ્લેટોમાં રામધૂન, યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનોની ભરમાર
- બ્રાહ્મણોની અછત સર્જાતા બહારગામથી બોલાવવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી
- ભજન મંડળીઓ, સુંદરકાંડ-રામધૂન કરતા મંડળોને એક દિવસમાં ચારથી પાંચ સ્થળે આયોજનો કરવા પડે તેવો ઘાટ
અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદ સહિત દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. 22મી જાન્યુ.એ યોજાનારા આ મહોત્સવને પગલે શહેરની વિવિધ સોસાયટીઓ, ફ્લેટો અને મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ, અખંડ રામાયણ, હનુમાન ચાલીસા, રામધૂન અને ભજનોના વિશેષ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, જેને પગલે ગોરમહારાજોની ખાસ્સી ડિમાન્ડ જોવા મળી રહી છે. આ દિવસે શહેરમાં જ અંદાજે ચાર હજારથી વધુ સુંદરકાંડ અને યજ્ઞન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનના બુકિંગ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આમ ગોરમહારાજની અછત સર્જાતા બહારગામથી મહારાજ બોલાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને બપોરે 12થી 2 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં વધુ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે રામઅર્ચ યજ્ઞ, રામ યજ્ઞ, મારુતિ યજ્ઞ અને હોમાત્મક સુન્દરકાન્ડ યજ્ઞનું વિશેષ મહત્ત્વ છે.
સુંદરકાંડ કરતા મહારાજ કલ્પેશ વ્યાસના જણાવ્યા અનુસાર, 22મી જાન્યુ.ના દિવસે પૂજા, યજ્ઞ, સુંદરકાંડ માટે 15 દિવસ પહેલાંથી બુકિંગ થઈ ગયા છે. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં ગોરમહારાજોની એટલી માગ છે કે, યજમાનો હાથ-પગ જોડીને તેમને આ સમયમાં પૂજા કરવા માટે મનાવી રહ્યા છે. આ દિવસે સુંદરકાંડ કરતા ગ્રુપો અને ગોરમહારાજો એક દિવસમાં પાંચથી છ જગ્યાઓ પર પાઠ કરશે, આવું પ્રથમવાર થવા જઈ રહ્યું છે. અસારવા ખાતે આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનચાર્ય ત્રિપાઠી નરેન્દ્ર રામબાળકે જણાવ્યું હતું કે, અહીં અભ્યાસ કરી ચૂકેલા 400થી વધુ વિદ્યાર્થીઓ આ દિવસ માટે વિશેષ પૂજા-યજ્ઞ માટે બુક થઈ ગયા છે. હાલમાં અભ્યાસ કરતાં 70થી વધુ બાળકો માટે પણ વિવિધ જગ્યાઓ પર પૂજા પાઠ માટે આમંત્રણ આવ્યું હતું પરંતુ મહાવિદ્યાલય ખાતે પણ વિશેષ પૂજા-યજ્ઞ હોવાને પગલે તેઓને મોકલવામાં આવ્યા નથી.
પૂજાપાની સામગ્રી સાથે છાણાની માગમાં પણ વધારો
22 જાન્યુ.ના દિવસે પૂજા-યજ્ઞના અસંખ્ય કાર્યક્રમો યોજાવાના હોવાથી બજારમાં પૂજાપાના સાધનસામગ્રીની માગમાં અત્યંત વધારો થયો છે. બજારમાં યજ્ઞ કુંડની ખરીદી માટે અને હવનકુંડ ભાડે લેવા માટે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે હવન સામગ્રીની સાથે સુંગધિત અગરબતી અને ધૂપની પણ માગમાં વધારો થયો છે. ગાયના છાણાઓનો સ્ટોક માગ કરતાં ઓછો હોવાથી તેના પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા હોવાની માહિતી જાણવા મળી છે.
કેસરી ધજાની ડિમાન્ડ વધતાં ભાવ આસમાને
શહેરના મોટાભાગના ચાર રસ્તે ધજા અને ઝંડાનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ શ્રીરામ અને હનુમાનજીના ફોટાવાળી ધજા રૂ. 150થી લઈને એક હજાર સુધીમાં વેચી રહ્યા છે. આ સાથે રૂ. 450, 250, 150 અને 80 વાળી ધજાઓની પણ ખાસ્સી માગ જોવા મળી રહી છે. યુવાનોમાં શ્રીરામના લોકેટ અને કિચેનની ડિમાન્ડ જોવા મળી રહી છે.
પ્રાણ પ્રતિષ્ઠાનું 126 LED પર લાઈવ પ્રસારણ કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે કરવામાં આવનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું શહેરમાં ઠેર ઠેર મૂકવામાં આવેલા AMCના 126 LED સ્ક્રીન પરથી લાઈવ પ્રસારણ કરાશે. પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સમગ્ર અમદાવાદમાં રામ મય માહોલ સર્જાયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 21 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઝોનમાં રામધૂન, ભજન- કીર્તન, ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


