- ઇ-ટુવ્હીલરની સબસિડી બંધ કરી પણ પેન્ડિંગ અરજદારોને હજી રકમ ચૂકવાઈ નથી
- 93 ટકાને સબસિડી મળી ગઇ હોવાનો સ્થાનિક આરટીઓ અધિકારીઓનો દાવો
- છેલ્લા ત્રણ વર્ષમાં 3,363 વાહન માલિકોએ સબસિડી લેવામાં રસ રાખ્યો નથી
ઈલેક્ટ્રિક ટુ વ્હિકલ પર સરકારે સબસિડી બંધ કરી દીધી છે. પરંતુ પેન્ડિંગ અરજદારોને હજી રકમ ચૂકવવાની બાકી છે. ચાલુવર્ષે 10,326 ઇ-વ્હિકલના માલિકોએ સબસિડી માટે અરજી કરી હતી. આ અરજીને સમયસર એપ્રૂવલ પણ કરાઇ હતી. પરંતુ હજી 735 વાહનોને સબસિડી ચૂકવવામાં આવી નથી. હાલ 93 ટકાને સબસિડી મળી ગઇ હોવાનો સ્થાનિક આરટીઓ અધિકારીઓએ દાવો કર્યો છે.
અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઈલેક્ટ્રિક ટુવ્હીલર, કાર અને રિક્ષા મળી 25,734 વાહનોનું વેચાણ થયું છે. જેમાંથી 22,371 વાહન માલિકોએ જ ઇ-વ્હિકલની સબસિડી મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીમાંથી 19357 અરજીઓ એપ્રૂવલ કરી દેવાઇ હતી. જ્યારે 2,967 અરજી રિટર્ન કરી દેવાઇ હતી. અરજી રિટર્ન થવા પાછળના મુખ્ય કારણોમાં પુરાવાનો અભાવ અને કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ પોર્ટલ (ફેમ-2)માં ઇ-વ્હિકલનું મોડલ એપ્રૂવલ કરાયું હોય તે જ ઇ-વ્હિકલના મોડલ પર સબસિડી મળે છે. ફેમ-2 પર વાહન મોડલ બદલાયા કરે છે. જેના લીધે મોડલ રજિસ્ટ્રેશન નહીં હોવાનો લીધે લીધે પણ અરજી રિટર્ન કરાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3,363 વાહન માલિકોએ સબસિડી લેવામાં રસ રાખ્યો નથી. સરકાર તરફથી 1.50 લાખના ઇ-ટુવ્હીલર પર રુપિયા 20 હજાર, 5 લાખના ઇ-થ્રી વ્હિકલ પર રૂપિયા 50 હજાર અને 15 લાખની ઇ-કાર પર રુપિયા 1.50 લાખ સુધીની સબસિડી અપાય છે.


