પ્રેમ આટલો આંધળો બની શકે કે, પોતાના જ માતા-પિતાના મૃત્યુનું ષડયંત્ર રચાય તેવો કિસ્સો બહુ જ દુર્લભ છે. પ્રેમમાં આડખીલી બનતી વ્યક્તિની હત્યાના અનેક કિસ્સા અગાઉ નોંધાયા છે. પરંતુ પ્રેમીને પામવા માટે સગીર દીકરી પોતાના જ પિતાની હત્યા કરાવે તેવો ચોંકાવનારો બનાવ મહલી તલાવડી ગામમાં બન્યો છે. જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી છે. પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી કરપીણ હત્યાના બનાવમાં પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. આ હત્યાકાંડનો ખુલાસો થતાં સમગ્ર પાદરા તાલુકામાં ભારે ચકચાર મચી છે.
પાદરા-જંબુસર રોડ પર મહલી તલાવડી ગામમાં ગત તા.19ની સવારે શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના ઘરની બહાર હત્યા કરાયેલી લાશ મળી હતી. જેની જાણ થતા પાદરા પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ કરી હતી.
પોલીસે રણજીતની કડક પૂછપરછ કરતાં શરૂઆતમાં તેણે ગુનામાં સંડોવણી નકારી હતી, પરંતુ સતત અને ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન તે તૂટી પડયો અને તેણે પોતાના સાગરીત ભવ્ય મહેશ વસાવા (ઉ.23, રહે. પાદરા) સાથે મળીને શનાભાઇની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. હત્યાનો આરોપી ઝડપાયા બાદ પોલીસે હત્યાના હેતુ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક શનાભાઇની સગીર દીકરી અને રણજીત વચ્ચે પ્રેમસબંધ હતો. જેમાં પિતા શનાભાઇ આડખીલી બની રહ્યાં હોવાથી દીકરીએ છેલ્લા ત્રણ મહિનાથી માતા-પિતાની હત્યાનો પ્લાન ઘડયો હતો. અંતે ગત તા.18 ડિસેમ્બરે સગીરાએ માતા-પિતા શનાભાઇના જમવામાં ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. ત્યારબાદ ફોન કરીને પ્રેમી રણજીતને બોલાવ્યો હતો. પ્લાન મુજબ રણજીત પોતાના મિત્ર ભવ્ય સાથે રાત્રિના સમયે શનાભાઇના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરની બહાર સૂઈ રહેલા શનાભાઇની છાતીમાં તીક્ષ્ણ ચાકૂના ત્રણ ઘા મારી તેની નિર્મમ હત્યા કરી બંને ફરાર થયા હતા.
પિતાની હત્યા નિર્વિકાર નજરે નિહાળતી નિષ્ઠુર દીકરી
ચોંકાવનારી બાબત એ છે કે, જે સમયે રણજીત શનાભાઇ પર ઘાતક હુમલો કરી રહ્યો હતો. ત્યારે સગીર દીકરી ઓરડીની બારીમાંથી પિતાની હત્યા નિર્વિકાર નજરે નિહાળી હતી. સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે આરોપી રણજીત ગજેન્દ્ર વાઘેલા (ઉ. 24, રહે. મહલી તલાવડી,) તથા તેના સાગરીત ભવ્ય મહેશ વસાવાની ધરપકડ કરી છે. પોલીસે મૃતકના ઘરની તપાસમા ઊંઘની ગોળીઓ પણ જપ્ત કરી છે.


