જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માગને ચીને સમર્થન આપ્યું છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે થઈ વાતચીત
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી છે. ચીને કહ્યું કે તે હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે. વાતચીત દરમિયાન ઈશાક ડારે કહ્યું કે તેઓ આતંકવાદ સામે કડક નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાન તણાવ વધારતા કોઈપણ પગલાનો વિરોધ કરે છે. પાકિસ્તાન આ મુદ્દા પર ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંપર્કમાં રહેશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે તેઓ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. આતંકવાદ સામેની લડાઈ એ બધા દેશોની સહિયારી જવાબદારી છે.
પાકિસ્તાને શું માગ કરી?
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને માગ કરી હતી કે પહેલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને પણ સામેલ કરવામાં આવે. મીડિયા સાથે વાત કરતી વખતે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય ટીમે તપાસ કરવી જોઈએ કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય નૌકાદળે એન્ટી-શિપ મિસાઈલો છોડીને તેની લાંબા અંતરની હુમલો ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અપીલ કરી છે કે નિર્દોષ લોકોના ઘર તોડી ન નાખવા જોઈએ. અત્યાર સુધીમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડી ચૂક્યા છે અને બાકીના લોકોને રવિવાર સુધીમાં ત્યાંથી નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે.