22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો તણાવ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત સાથે પૂર્ણ થયો છે. આ 18 દિવસ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ યુદ્ધની નજીક પહોંચી ગઈ હતી. બંને દેશો વચ્ચે સતત લશ્કરી હુમલાઓ અને બદલો લેવામાં આવતો રહ્યો.
ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી. એટલું જ નહીં, પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ લશ્કરી ઠેકાણાઓને પણ નુકસાન થયું હતું. આખરે અમેરિકાની મધ્યસ્થી બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કે 22 એપ્રિલથી 10 મે સુધીના આ 18 દિવસમાં શું થયું?
22 એપ્રિલ 2025 – પહેલગામ આતંકવાદી હુમલો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર મોટો હુમલો કર્યો, જેમાં 26 લોકોના મોત થયા. આ ઘટના બાદ ભારતમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ.
23 એપ્રિલ 2025 – યુદ્ધવિરામ ઉલ્લંઘન અને રાજદ્વારી પગલાં
પાકિસ્તાન તરફથી LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ થયું. જવાબમાં, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા.
7 મે 2025 (1.04 AM) – ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચપેડ પર સચોટ હુમલો કર્યો. ઓપરેશન સિંદૂરમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા હતા.
8 મે 2025 (રાત્રિ) – પાકિસ્તાને કર્યો હુમલો
પાકિસ્તાને સ્વોર્મ ડ્રોન અને ભારે તોપખાનાનો ઉપયોગ કરીને ભારતીય જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં અનેક સ્થળોએ હુમલો કર્યો. ભારતે વળતો જવાબ આપ્યો અને આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
9 મે 2025 (સવાર) – ભારતે પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ પર હુમલો કર્યો.
ભારતીય વાયુસેનાએ લાહોરમાં પાકિસ્તાનની HQ-9B વાયુ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે તોડી પાડી હતી.
9 મે 2025 (રાત્રે) – પાકિસ્તાન દ્વારા મોટો હુમલો
પાકિસ્તાને સ્વોર્મ ડ્રોનનો ઉપયોગ કરીને 26 ભારતીય સ્થળો પર હુમલો કર્યો.
9 મે 2025 (મોડી રાત્રે) – ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ભારતીય સેનાએ સિયાલકોટ, આંતરરાષ્ટ્રીય સરહદ (IB) અને અનેક LoC સેક્ટરમાં મોટો હુમલો કર્યો.
10 મે 2025 (સવાર) – ભારતીય વાયુસેનાનો હવાઈ હુમલો
ભારતીય વાયુસેનાએ ઈસ્લામાબાદ સહિત પાકિસ્તાનના 8 મુખ્ય એરબેઝને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા અને સ્કાર્ડુ, બોલારી અને સરગોધા સહિત 8 અન્ય એરસ્ટ્રીપ્સને નુકસાન પહોંચાડ્યું.
10 મે 2025 (બપોર) – રાજદ્વારી હસ્તક્ષેપ
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે વાત કરી અને સંયમ રાખવાની અપીલ કરી.
10 મે 2025(સાંજે) – ડીજીએમઓ સ્તરની વાટાઘાટો
પાકિસ્તાની ડીજીએમઓએ ભારતીય ડીજીએમઓને ફોન કર્યો અને સીધી વાતચીત શરૂ કરી.
10 મે 2025 (સાંજે 5 વાગ્યે) – યુદ્ધવિરામની કરાઈ જાહેરાત
બંને દેશોના ડીજીએમઓ વચ્ચે થયેલા કરાર બાદ, પાણી, જમીન અને આકાશમાં તમામ પ્રકારની લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારત, પાકિસ્તાન અને અમેરિકાએ આ અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો.


