અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યા બાદ ક્રેશ થયું હતું. અકસ્માત સમયે વિમાનમાં 242 લોકો સવાર હતા જેમાં બે પાયલોટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. વિમાન દુર્ઘટના બાદ આખા દેશ સહિત દુનિયામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અકસ્માત અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની પ્રતિક્રિયા સામે આવી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના પર પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા
બિલાવલ ભુટ્ટોએ એર ઈન્ડિયા દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘આ દુ:ખદ ઘટનાના સમાચાર સાંભળીને તેઓ દુઃખી થયા છે. સાથે જ તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, હું ભારતના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’
એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171એ ભારતીય સમય મુજબ બપોરે 1:39 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી ઉડાન ભરી હતી. રનવે 23 પરથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ વિમાન એરપોર્ટની સીમાની બહાર જમીન પર ક્રેશ થયું અને તે પછી તરત જ સ્થળ પરથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આ દ્રશ્યો એવા ભયાનક હતા કે તેમાં સવાર કોઈપણ ન બચી શકે પરંતુ હાલ તો ઘણા મુસાફરો સારવાર હેઠળ છે તો ઘણા લોકો જીવન મરણ સામે લડી રહ્યા છે.
વિમાનમાં 242 લોકો સવાર હતા
અમદાવાદના મેઘનગર આઈજીપી કોમ્પ્લેક્સમાં વિમાન ક્રેશ થયું હતું. અકસ્માત સમયે વિમાનમાં 12 કેબિન ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. વિમાનનું પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલ હતા તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર પણ હતા. કેપ્ટન સુમિત સભરવાલ એલટીસી છે અને તેમને 8,200 કલાકનો ઉડાનનો અનુભવ છે જ્યારે કો-પાયલટને 1,100 કલાકનો ઉડાનનો અનુભવ છે. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.
પીએમ મોદીએ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને હૃદયદ્રાવક ગણાવી અને કહ્યું હતું કે અમે તેનાથી આઘાત અને દુઃખી છીએ. અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી અમે આઘાત અને દુઃખી છીએ. તે હૃદયદ્રાવક છે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. હું પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.